રાજકોટમાં એક યુવાનના આપઘાત કેસમાં મહત્વનો ખુલાસો થયો છે. મિત્રોએ 1 કરોડ રૂપિયા પરત ન આપવાથી આ યુવાને આપઘાત કર્યો હતો. 2 દિવસ પહેલાં, મનીષ ભટ્ટી નામના યુવકે ઝેરી દવા પીધા બાદ પોતાનો જીવ દઇ દીધો હતો.
આ ઘટના મિત્રોની ઉઘરાણીની સમસ્યાને કારણે ઘટી હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી અનુસાર, મનીષ ભટ્ટીએ પોતાના મિત્રો સંજય જોશી અને સુરેશ જોશીને પૈસા આપ્યા હતા, જેમાં સંજયને 30 લાખ અને સુરેશને 70 લાખ રુપિયા આપ્યા હતા.
પરંતુ મિત્રો પૈસા પરત ન કરતા મનીષ ભટ્ટીએ આપઘાત કરવાનો નિર્ણય લીધો. આ મામલામાં, મનીષે ફાઇનાન્સર બિપીન મઠીયા અને રવિ મઠીયા પાસેથી પૈસાની વ્યવસ્થા કરીને સંજય અને સુરેશ માટે ફાઇનાન્સ કરાવ્યું હતું.આ ઘટનામાં ફાઇનાન્સરો મનીષ ભટ્ટીને સતત હેરાન કરતા હતા, જેને કારણે મનીષ તણાવમાં હતો.
લગભગ દોઢ વર્ષ પહેલા મનીષે 1 કરોડ રૂપિયા પોતાના મિત્રોને ઉછીના આપ્યા હતા, અને પૈસાની લેણદેણના કારણે ફાઇનાન્સરોએ મનીષની દુકાન પોતાના નામે કરી હતી. આ તમામ દબાણ અને હેરાનગતીથી કંટાળી મનીષે આપઘાત કરી લીધો. હાલ, બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે.
