1970 અને 1980 ના દાયકામાં ભારતીય સિનેમામાં સમાનાંતર ફિલ્મોમાં અગ્રણી નામ એવા મશહૂર ફિલ્મકાર શ્યામ બેનેગલના મંગળવારે મુંબઈમાં પૂરા રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ‘અંકુર’, ‘મંડી’, ‘નિશાંત’ અને ‘જુનૂન’ જેવી ફિલ્મો માટે પ્રખ્યાત શ્યામ બેનેગલના અંતિમ સંસ્કાર દાદરના શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં બપોરે 3 વાગ્યે કરવામાં આવ્યા હતા.
બેનેગલના પાર્થિવ દેહને રાષ્ટ્રધ્વજમાં લપેટવામાં આવ્યો હતો અને તેમને પૂરા રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. શ્યામ બેનેગલનું 23 ડિસેમ્બરે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર 24 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યા હતા.શ્યામ બેનેગલની અંતિમ વિદાયના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.
તેમને રાજ્ય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. એક તરફ દિગ્દર્શકને અંતિમ વિદાય આપતી વખતે નસીરુદ્દીન શાહની આંખો ભીની થઈ ગઈ હતી, તો બીજી તરફ ગુલઝાર સાહબ પણ પાર્થિવ દેહ સામે હાથ જોડેલા ખૂબ જ ભાવુક દેખાતા હતા.આ દરમિયાન નંદિતા દાસ, ઇલા અરુણ, દિવ્યા દત્તા, શ્રેયસ તલપડે, સિનેમેટોગ્રાફર બનેલા દિગ્દર્શક ગોવિંદ નિહલાની, જેમણે બેનેગલ દ્વારા દિગ્દર્શિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, તેઓ પણ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.
રોની સ્ક્રુવાલા, ગુલઝાર અને હંસલ મહેતા જેવી ફિલ્મ ઉદ્યોગની અગ્રણી હસ્તીઓ પણ બેનેગલને વિદાય આપવા માટે આવી હતી. આ ઉપરાંત રત્ના પાઠક શાહ, રજિત કપૂર, રાજેશ્વરી સચદેવ, મનમોહન શેટ્ટી અને પ્રીતિ સાગર પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.
જણાવી દઈએ કે શ્યામ બેનેગલ લાંબા સમયથી બીમાર હતા, તેમને ક્રોનિક કિડનીની બીમારી હતી, જેના કારણે તેમણે 90 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ. શ્યામ બેનેગલની પુત્રી પ્રિયાએ તેમના નિધનની પુષ્ટિ કરી હતી.
