Sara Ali Khan visits Ajmer Sharif Dargah : બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન એક એવી અભિનેત્રી છે જે દરેક ધર્મને માને છે. તે મસ્જિદમાં તો જાય જ છે પણ તે મંદિરોમાં પણ જાય છે. સારા અલી ખાન ઘણીવાર કેદારનાથ અને ક્યારેક ઉજ્જૈન મહાકાલની મુલાકાતે જોવા મળી છે. આ મામલે ઘણી વખત હંગામો પણ થયો છે, પરંતુ સારા અલી ખાન ક્યારેય કોઇની સામે ઝૂકી નથી.
સારા હાલમાં જ અજમેરના વિશ્વ પ્રસિદ્ધ ખ્વાજા ગરીબ નવાઝના દરબારમાં પહોંચી હતી. ત્યાં તેણે જિયારત કરી. આ સાથે સારા અલી ખાને ચાદર અને ભક્તિના પુષ્પો પણ અર્પણ કર્યા હતા. સારા અલી ખાનની ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. સારા અલી ખાન આ ફિલ્મની સફળતા માટે આશીર્વાદ લેવા ખ્વાજા ગરીબ નવાઝના દરબારમાં પહોંચી હતી.
સારાને જોવા માટે ચાહકોની ભારે ભીડ પણ ઉમટી પડી હતી. સારા રવિવારે 21 મેના રોજ બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે અજમેર પહોંચી હતી. તેને જોઇને તો લોકો વચ્ચે તેની સાથે સેલ્ફી લેવાની સ્પર્ધા પણ શરૂ થઇ ગઇ હતી. ભારે ભીડ વચ્ચે ખૂબ જ મુશ્કેલીથી સારાએ દરગાહમાં જિયારત કરી.
સારાને તેની ફિલ્મ જરા હટકે ઝરા બચકેની સફળતા માટે આશીર્વાદ માંગવા માટે ખાદિમ દ્વારા દુપટ્ટો ઓઢાવી તબર્રુક ભેટ આપવામાં આવી. જણાવવામાં આવી રહ્યું છે કે અજમેર દરગાહમાં દર્શન કર્યા બાદ સારા 185 લોકોના પરિવારને મળવા રામસર ગામ પહોંચી હતી અને આ દરમિયાન વિક્કી કૌશલ પણ ત્યાં હતો.
ત્યાં લોકોએ સારા અને વિક્કી કૌશલનું પાઘડી અને માળા પહેરાવીને સ્વાગત કર્યું હતું. ‘ઝરા હટકે ઝરા બચકે’ની વાત કરીએ તો તેનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે. આ ફિલ્મ 2 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ સિવાય સારા ‘એ વતન મેરે વતન’ અને ‘મર્ડર મુબારક’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.
તાજેતરમાં સારાએ કાન ફિલ્મ ફેસ્ટિવલ 2023માં ડેબ્યૂ કર્યું હતું. સારાએ કાન્સના રેડ કાર્પેટ પર પોતાના લુક્સથી ધૂમ મચાવી દીધી હતી.
