રામલીલા કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર સીરિયસ થઇ ગયા રામ-રાવણના કલાકાર, તીર-કમાન છોડી ધક્કો મારવા લાગ્યા
યુપીના અમરોહામાં રામલીલા મંચન દરમિયાન રામ અને રાવણની ભૂમિકા ભજવતા કલાકારોએ અસલમાં લડાઈ શરૂ કરી દીધી હતી. સ્ટેજ પર રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ બતાવવામાં આવી રહ્યું હતું. બંને તરફથી તીર છોડવામાં આવી રહ્યા હતા. પરંતુ પાત્રોએ નાટકીય તીરંદાજીને ગંભીરતાથી લઇ લીધી. નાટકીય લડાઈ દરમિયાન જ્યારે એકને મામૂલી ફટકો પડ્યો, ત્યારે તેણે બીજાને પણ મારવાનો પ્રયાસ કર્યો. આ પછી શું…તેનો વીડિયો વાયરલ થયો છે.
રિપોર્ટ અનુસાર, આ ઘટના 13 ઓક્ટોબરે અમરોહાના સલેમપુરમાં બની હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેજ શણગારવામાં આવ્યો હતો, મોટી સંખ્યામાં દર્શકો પણ રામલીલાની મજા માણી રહ્યા હતા. જો કે રામલીલા તેના છેલ્લા સેગમેન્ટમાં હતી ત્યારે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ શરૂ થયું. બંને સ્ટેજ પર તીર-કમાન વરસાવી રહ્યા હતા ત્યારે આ હુમલો અચાનક ઝપાઝપીમાં ફેરવાઈ ગયો.
થોડા સમય પહેલા જ પર્ફોમન્સ આપી રહેલા કલાકારો એકબીજાને મારવા પર ઉતરી આવ્યા. વાતાવરણ બગડતું જોઈને આયોજકો અને દર્શકોએ સ્ટેજ પર પહોંચીને બંનેને છોડાવ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આરોપ છે કે રાવણના પાત્ર એ રામનું પાત્ર ભજવનાર વ્યક્તિને ધક્કો માર્યો. આ પછી બંને કલાકારો વચ્ચે અથડામણ થઇ.
