6 વર્ષ પહેલા મનીષ પાંડેએ કર્યા હતા એક્ટ્રેસ સાથે લગ્ન, હવે તૂટી રહ્યો છે સંબંધ- સોશિયલ મીડિયા પરથી હટાવ્યા ફોટો
ગ્લેમર અને ક્રિકેટ વચ્ચેનો સંબંધ જૂનો છે. શર્મિલા ટાગોર અને નવાબ મંસૂર અલી ખાન પટૌડીના લગ્ન પછી ઘણા ક્રિકેટરો અને એક્ટર્સે લગ્ન કર્યા. કેટલાક સંબંધો ચાલ્યા પરંતુ કેટલાક લાંબા સમય સુધી ના ચાલી શક્યા. જો વર્તમાન સમય પર નજર કરીએ તો યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું અને તેમના અલગ થવાના સમાચાર જોરોશોરોથી ચાલી રહ્યા છે.
આ પહેલા હાર્દિક પંડ્યા અને નતાશા છૂટાછેડા લઇ ચૂક્યા છે. ત્યારે હવે એવા સમાચાર છે કે ક્રિકેટર મનીષ પાંડે અને અભિનેત્રી અશ્રિતા શેટ્ટી વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી પતિ મનીષ તિવારી સાથેના ફોટા ડિલીટ કરી દીધા છે. મનીષના એકાઉન્ટમાં પણ આવું જ જોવા મળી રહ્યુ છે, બંનેના એકાઉન્ટમાં એકબીજાનો કોઈ ફોટો નથી.
જો રિપોર્ટ્સનું માનીએ તો બંનેએ એકબીજાને અનફોલો કરી દીધા છે. આવી સ્થિતિમાં ગ્લેમર અને ક્રિકેટની દુનિયામાં વધુ એક છૂટાછેડા થવાના છે કે કેમ તેની અટકળો લગાવવામાં આવી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો બંને છેલ્લા કેટલાક સમયથી સાથે જોવા મળ્યા નથી. જો કે, આ અંગે હજુ સુધી બંને તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી. આ ક્રિકેટરે વર્ષ 2019માં સાઉથ ફિલ્મ અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા.
અશ્રિતા સાઉથની ઘણી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. ત્યારે હવે લગ્નના 7-8 વર્ષે કપલના અલગ થવાના સમાચાર છે. જો કે આ બંનેએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ તેમના સોશિયલ મીડિયાના કારણે આવી અટકળો લગાવવામાં આવી રહી છે. મનીષ પાંડેની વાત કરીએ તો, લગભગ ચાર વર્ષથી તે ભારતીય ક્રિકેટ ટીમની બહાર છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 29 ODI અને 39 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
મનીષે જુલાઈ 2021માં શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી ODI રમી હતી. ત્યાં ડિસેમ્બર 2020માં કેનબેરામાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી T20 મેચ પછી તે આ ફોર્મેટમાં વાપસી કરી શક્યો નથી. મનીષે વનડેમાં 33.29ની એવરેજથી 566 રન બનાવ્યા છે. તેણે T20માં 44.31ની એવરેજથી 709 રન બનાવ્યા છે. મનીષ આઈપીએલની આગામી સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમશે. ફ્રેન્ચાઇઝીએ તેને 75 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
