ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ફરી એકવાર આગની ઘટના બની, આ વખતે મહા કુંભ મેળા વિસ્તારના સેક્ટર 8માં આગ લાગી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી. હજુ બે દિવસ પહેલા પણ મહાકુંભ મેળામાં આગ લાગી હતી. તે સમયે આ આગને કારણે મહાકુંભ સેક્ટર 18 અને 19 વચ્ચેના ઘણા પંડાલો બળીને રાખ થઈ ગયા હતા. તે ઘટનાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવાયું હતું.
તાજેતરની ઘટનાની માહિતી મળ્યા બાદ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આગ કલ્પવાસીઓ દ્વારા ખાલી કરાયેલા તંબુઓમાં લાગી હતી. આ આગ ઘણી મોટી હતી અને ઝડપથી ફેલાઈ રહી હતી. જો કે, ફાયર બ્રિગેડે કોર્ડન કરીને આગ પર કાબુ મેળવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કવિ માનસ મંડલના ત્રણ તંબુઓમાં આગ લાગી હતી, ગ્રાહક સુરક્ષા સમિતિના ત્રણ તંબુ બળીને રાખ થઈ ગયા છે. આ ઘટના દરમિયાન તંબુઓમાં કોઈ વ્યક્તિ નહોતા જેને કારણે જાનહાનિના અહેવાલ નથી. જો કે ત્યાં રાખેલ બધો સામાન બળીને રાખ થઈ ગયો હતો.
13 જાન્યુઆરીથી ચાલી રહેલા મહાકુંભમાં પાંચ વખત આગ લાગી છે. 15 ફેબ્રુઆરીના રોજ સેક્ટર 18-19માં આગ લાગી હતી. 7 ફેબ્રુઆરીના રોજ સેક્ટર-18માં લાગેલી આગમાં 22 ટેંટ બળી ગયા હતા. 19 જાન્યુઆરીના રોજ સેક્ટર 19માં ગીતા પ્રેસ કેમ્પમાં આગ લાગી હતી. આમાં 180 કોટેજ બળી ગયા હતા. 30 જાન્યુઆરીના રોજ સેક્ટર 22માં આગ લાગી હતી.
