ગત રોજ મનોરંજન જગતમાંથી એક ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા. છેલ્લા 41 દિવસથી જીવન અને મોત સામે ઝઝૂમી રહેલા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે આ દુનિયાને અલવિદા કહી દીધું. કોમેડીયનના નિધન બાદ તેના ચાહકો, સેલેબ્સથી લઈને તેના પરિવારજનો પણ ખુબ જ આઘાતમાં છે. આજે તેના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા. ત્યારે તેના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પણ ઘણા સેલેબ્સ પણ પહોંચ્યા હતા. તો ઘણા સેલેબ્સ દ્વારા સોશિયલ મીડિયામાં તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
આ દરમિયાન ખ્યાતનામ કોમેડિયન કપિલ શર્માએ પણ તેના સોશિયલ મીડિયામાં રજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપતી એક ખુબ જ ભાવુક પોસ્ટ કરી છે, જે ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. રાજુ શ્રીવાસ્તવના નિધન પર કપિલ શર્માએ તેમની સાથે પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીર તે સમયની છે જ્યારે રાજુ ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યો હતો. આ ફોટોમાં બંને હસતા જોવા મળે છે.
રાજુ શ્રીવાસ્તવને યાદ કરતાં કપિલ શર્માએ લખ્યું, “આજે પહેલીવાર તમે મને રડાવ્યો, રાજુભાઈ. હું ઈચ્છું છું કે કદાચ એક મુલાકાત બીજી થઇ જતી. ભગવાન તમને તેમના ચરણોમાં સ્થાન આપે. તમે બહુ યાદ આવશો. ગુડબાય ઓમ શાંતિ” આ સાથે કપિલે તૂટેલા દિલનું ઈમોજી પણ શેર કર્યું હતું.
ભગવાન દરેકને હસાવવાની ક્ષમતા નથી આપતા અને રાજુ શ્રીવાસ્તવ તેમાં પારંગત હતા. ક્યારેક રાજુ શ્રીવાસ્તવ પોતાની હળવી મજાકથી મોટી અને ગંભીર વાતો કહેતા. આ જ કારણ હતું કે કપિલ શર્મા પણ તેને પોતાના શોમાં બોલાવ્યા વગર રહી શક્યો નહીં. કપિલ શર્મા અને રાજુ શ્રીવાસ્તવ બંને કોમેડીના ચેમ્પિયન માનવામાં આવે છે. કપિલ અને રાજુ બંને ખાસ બોન્ડ પણ શેર કરતા હતા. રાજુ શ્રીવાસ્તવના નિધનના સમાચારે કપિલ શર્માને મોટો ઝટકો આપ્યો છે.
કપિલ શર્મા ઉપરાંત અર્ચના પુરણ સિંહે પણ રાજુ શ્રીવાસ્તવને યાદ કરતી એક પોસ્ટ શેર કરી છે. પ્રતિભા વિશે વાત કરતાં અર્ચના લખે છે કે તે હંમેશા કહેતો હતો, ‘અર્ચનાજી, હું અહીં ખુશ છું… કોમેડીના સ્ટેજ પર. આ મારું ઘર છે. હું ઈચ્છું છું કે મારો દરેક દિવસ અહીં પસાર થાય… મને બીજે ક્યાંય એવું નથી લાગતું.’ અર્ચના પુરણ સિંહ આગળ લખે છે કે ‘મને ખાતરી છે કે રાજુ, તમે સ્વર્ગમાં તમારું પોતાનું સ્ટેજ બનાવીને ત્યાં બધાનું મનોરંજન કરશો. ખબર ન હતી કે ભારતના લાફ્ટર ચેમ્પિયનના સ્ટેજ પરની અમારી સોનેરી મીટિંગ અને ક્ષણો છેલ્લી હશે… તમને ખૂબ જ યાદ કરવામાં આવશે.”
