મિથિલાની દીકરીની જેમ દીપિકા ચિખલિયાની થઇ વિદાય : મહિલાએ રસ્મ નિભાવી લગાવી ગળે, ચાહકોનો પ્રેમ જોઇ રડવા લાગી દીપિકા
Deepika Chikhalia In Mithila : રામાનંદ સાગરની ‘રામાયણ’માં માતા સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી દીપિકા ચિખલિયા અને રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલ ગુરુવારે મિથિલાંચલના દરભંગા પહોંચ્યા હતા. આ દરમિયાન રામ-સીતાના દર્શન કરવા દરભંગાના લોકોની ભીડ ઉમટી પડી હતી. દીપિકાએ શનિવારે મિથિલાથી પરત ફરતી વખતે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યા. જેમાં મિથિલાંચલની પરંપરાગત વિધિ મુજબ ત્યાંથી તેમની વિદાય દીકરીની જેમ કરવામાં આવી હતી.
આ જોઈને અભિનેત્રીની આંખોમાં આંસુ આવી ગયા. રામાનંદ સાગરની ‘રામાયણ’થી ફેમસ થયેલી દીપિકા ચીખલિયાને કોઇ ઓળખની જરૂર નથી. આજે પણ ઘણા એવા છે જેઓ તેમને ખરેખર સીતા માતા માને છે અને તેમની પૂજા કરે છે. ત્યારે ફરી એક વાર આવું જ કંઈક જોવા મળ્યું, જ્યારે દીપિકા મિથિલા પહોંચી હતી. ત્યાં તેને જે રીતે વિદાય આપવામાં આવી તે જોઈને તે ભાવુક થઈ ગઈ.
તેણે બે વીડિયો પોસ્ટ કર્યા છે, જેને જોયા બાદ ચાહકો પણ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયો દીપિકા ચીખલિયાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વિડિયો બિલકુલ એવો જ છે જે માતા દીકરીની વિદાય વખતે તમામ વિધિઓ કરે છે. કેટલીક મહિલા છે જે ભીની આંખો સાથે અભિનેત્રીને વિદાય આપી રહી છે. તમને જણાવી દઈએ કે અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયા ઉપનયન સેરેમની માટે મિથિલા પહોંચ્યા હતા.
બંને કલાકારોને જોવા માટે ગ્રામજનોની ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર વિસ્તાર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો હતો. આ પહેલા મીડિયા સાથે વાત કરતા બંને કલાકારોએ મિથિલાને માતા સીતાની ભૂમિ ગણાવી હતી અને અયોધ્યામાં મંદિરના નિર્માણ પર ખુશી વ્યક્ત કરી હતી. એક વીડિયો શેર કરતા અભિનેત્રીએ લખ્યું, ‘મિથિલામાં સીતાજીની વિદાય. મને એવું અનુભવવા માટે બધું કર્યું કે હું તેમની પુત્રી છું.
હું રામાયણના સમયમાં ખોવાઈ ગઇ. હવે આ પોસ્ટ બાદ લોકો કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘મિથિલામાં તમારું હંમેશા સ્વાગત રહેશે. તમારું પિયર જ રહેશે. એક યુઝરે લખ્યું, ‘આ બિહારની સંસ્કૃતિ છે, મિથિલાની સંસ્કૃતિ છે, માતા સીતાની જન્મભૂમિ છે.’ જ્યારે બીજા વિડિયોમાં દીપિકા ચીખલીયાએ કહ્યું કે, હું શું કહું ? અહીં એટલો પ્રેમ આપવામાં આવ્યો છે કે મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ.
મને ખબર નથી કે શું કહેવું. તેમણે મને ખોળામાં રાખવા આ આપ્યું. સાથે પાણી પણ આપ્યું. કારણ કે કહેવાય છે કે દીકરી સુકા ગળા સાથે ઘર છોડતી નથી અને તે ખાલી ખોળે પણ નથી જતી. કારણ કે તેઓ વિચારે છે કે હું સીતાજી છું. હે ભગવાન… હું શું કહું.’ આટલું બોલ્યા બાદ દીપિકાની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે.
