Breaking News : ધોનીએ ફેન્સને ચોંકાવ્યા- અચાનક છોડી કેપ્ટન્સી, આ ખેલાડી બન્યો CSKનો કેપ્ટન
IPLની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી પૈકીની એક ચેન્નાઈ સુપર કિંગ્સે આગામી IPL સીઝન પહેલા ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. એમએસ ધોનીની જગ્યાએ ઓપનિંગ બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. IPLના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલે આ વાતની પુષ્ટિ કરી છે.
આ પહેલા, ધોનીએ IPL 2022 પહેલા CSKની કેપ્ટનશીપ છોડી દીધી હતી પરંતુ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે તેણે ટૂર્નામેન્ટની મધ્યમાં ફરીથી ટીમનું નેતૃત્વ કર્યું. એમએસ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ ટાઇટલ જીત્યા છે. ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે એમએસ ધોનીની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને પાંચમી વખત ટાઇટલ જીત્યું હતું.
ધોનીએ તેની નિવૃત્તિની અટકળોને નકારી કહ્યું હતું કે તે આગામી સિઝન (IPL 2024) પણ રમશે. પરંતુ તેણે સિઝન શરૂ થવાના થોડા કલાક પહેલા જ ચાહકોને મોટો આંચકો આપ્યો અને CSKની કેપ્ટન્સી છોડી દીધી. ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વખત ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીએ સુકાની પદ છોડ્યા બાદ 27 વર્ષીય યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ હવે ટીમની કમાન સંભાળશે.
લાંબા સમયથી ક્રિકેટિંગ સર્કલમાં ગાયકવાડને લીડરશીપ ઓપ્શન તરીકે જોવામાં આવી રહ્યો હતો. જ્યારે તેણે ચેન્નાઈ માટે તેની પ્રથમ સિઝન રમી હતી ત્યારે પણ કેટલાક નિષ્ણાતો તેને ભાવિ કેપ્ટન કહી રહ્યા હતા. તે ધોનીની પસંદગી હોવાનું પણ કહેવાય છે. આ સિવાય તે બેટિંગમાં પણ ખૂબ જ સાતત્યપૂર્ણ છે.
તેણે 2022 સીઝન સિવાય દર વર્ષે CSK માટે 40થી ઉપરની એવરેજથી રન બનાવ્યા છે. તે સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્રની કેપ્ટનશિપ પણ કરી ચુક્યો છે. યુવા બેટ્સમેન ગાયકવાડ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે. 2022માં ચીનમાં રમાયેલી એશિયન ગેમ્સમાં તેને ભારતીય પુરુષ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ગાયકવાડે તે ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
