ગરબામાં નાચતા-ગાતા વ્યક્તિની મોત, હોસ્પિટલ લઇ જનાર પિતાનો પણ આઘાતમાં ગયો જીવ
માનવજીવન કેટલું અનિશ્ચિત અને અજાણ્યું છે એ વિશે આપણે કશું કહી શકતા નથી. દરેક માતા-પિતા માટે તેમના બાળકો વૃદ્ધાવસ્થાનો સહારો છે. પરંતુ જો એ જ માતા-પિતાની સામે તેમનો યુવાન પુત્ર કે પુત્રી મૃત્યુ પામે તો આનાથી મોટું દુ:ખ દુનિયામાં કોઈ હોઈ શકે નહીં. આવી જ એક હૃદયદ્રાવક ઘટના હાલમાં સામે આવી છે, જેમાં એક વ્યક્તિ રવિવારે ખુશીથી ગરબા રમી રહ્યો હતો ત્યારે અચાનક તે જમીન પર પડી ગયો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
આ સાંભળીને તેને હોસ્પિટલ લઈ જનાર તેના પિતાને એટલો ઊંડો આઘાત લાગ્યો કે તેમનું પણ ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. પોલીસના જણાવ્યા અનુસાર બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ મામલે પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના પાલઘરના વિરારમાં ગરબા કાર્યક્રમમાં ગરબા રમતી વેળાએ 35 વર્ષીય એક વ્યક્તિનું મોત થયું હતું.
મનીષ નરપજી સોનીગ્રાએ શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે વિરાર ગ્લોબલ સિટી કોમ્પ્લેક્સમાં એક ગરબા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે ગરબા કરતી વખતે અચાનક જમીન પર પડી ગયો હતો. તે પડતાની સાથે જ તેના 66 વર્ષીય પિતા નરપજી સોનીગ્રા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. ત્યાં તબીબોએ મનીષને મૃત જાહેર કર્યો હતો. આ સાંભળીને નરપજી સોનીગ્રા પણ આઘાતમાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. આમ એકસાથે બંને બાપ-દીકરાની અર્થી નીકળતા બધાની આંખો પણ નમ થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ ગરબા રમતા રમતા એક 21 વર્ષના યુવકનું મોત થયું હતું. 30 સપ્ટેમ્બરના રોજ શુક્રવારે રાત્રે ગરબા રમતી વખતે વીરેન્દ્ર સિંહનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. આ યુવક આણંદ જિલ્લાના તારાપુરની શિવ શક્તિ સોસાયટીનો રહેવાસી હતો.