ધંધુકામાં માલધારી યુવકની હત્યા કેસમાં PIને હટાવવામાં આવ્યા, ધંધુકામાં પાડવામાં આવ્યો સજ્જડ બંધ, ધાર્મિક ટિપ્પણીના એન્ગલથી તપાસ શરૂ

ધંધુકાની અંદર ગત 25 જાન્યુઆરી મંગળવારના રોજ કિશન ભરવાડ નામના એક યુવકની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી, આ ઘટનાને લઈને સ્થાનિક લોકો અને પરિવારજનો રોષે ભરાયા હતા અને ન્યાય માટેની માંગણી પણ કરી રહ્યા હતા, જેના બાદ પોલીસ દ્વારા સામાજિક આગેવાનોની મદદ દ્વારા લોકોને શાંત કરવામાં આવ્યા હતા.

કિશન ભરવાડે એક મહિના આગાઉ સોશિયલ મીડિયામાં ચોક્કસ જ્ઞાતિના લોકો વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી. આ મામલામાં પોલીસે કિશનની ધરપકડ પણ કરી હતી અને અન્ય સમાજના લોકો સાથે સમાધાન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ઘટનાના થોડા જ દિવસો બાદ કિશનની હત્યા કરી દેવામાં આવતા લોકો રોષે ભરાયા હતા.

પોલીસે આ મામલામાં અલગ અલગ 7 ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. આ કેસની અંદર હવે SOG, LCB અને લોકલ પોલીસ સહિત કુલ 7 ટીમો તપાસની અંદર લાગી ગઈ છે. આ સમગ્ર મામલાની તપાસ DYSP રિના રાઠવાના સુપરવિઝન હેઠળ થઇ રહી છે. આ હત્યા કેસની અંદર અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

ત્યારે હવે આ મામલાની અંદર પોલીસ હવે સોશિયલ મીડિયામાં કરેલ વિવાદિત પોસ્ટને લઈને કિશનની હત્યા કરી દેવામાં આવી હોય તેમ માની તે એન્ગલથી તપાસ કરી રહી છે. આ મામલાની અંદર પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને કેટલાક લોકો તેનાથી રોષે પણ ભરાયા હતા. આ ઘટના બાદ કિશન તેના ઘરે જ હતો પરંતુ મંગળવારના રોજ તે ઘરેથી નીકળ્યો અને આ મોકાનો લાભ લઈને તેની હત્યા કરી દેવામાં આવી હોવાનું પોલીસ માની રહી છે.

ત્યારે આ હત્યાની ઘટના બાદ ધંધુકાના પીઆઇ સી.બી. ચૌહાણને લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા હતા અને સાણંદ પી.આઈ આર.જી ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા છે અને સાણંદનો ચાર્જ પીએસઆઇને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર મામલામાં ધંધુકાના પીઆઇની બેદરકારી સામે આવતા તેમની બદલી કરવામાં આવી છે.

Niraj Patel