ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ પ્રસંગો અને લગ્નેત્તર સંબંધોના ગંભીર પરિણામો આવવાના ઘણા કિસ્સાઓ આપણે જોયા છે. આવા કિસ્સાઓમાં કોઈ કોઈની હત્યા કરી દેતું હોય છે તો ઘણીવાર કોઈ આપઘાત કરીને પણ જીવન ટૂંકાવતું હોય છે. ત્યારે હાલ એવો જ એક મામલો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. જ્યાં એક પતિના મિત્રએ તેની ગર્ભવતી પત્નીને ભગાડી જતા મોતને વહાલું કરી લીધું હતું.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર લખતર તાલુકાના વરસાણી ગામમાં રહેતા અશ્વિનભાઈ રાજાભાઈ મકવાણાના લગ્ન વઢવાણ તાલુકાના દેદાર ગામમાં રહેતી જ્યોત્સ્ના સાથે 3 વર્ષ પહેલા થયા હતા. ત્યારે તેના પતિનો મિત્ર દશરથ ગજાભાઇ રાતોંજા પણ તેના ઘરે સતત આવતો રહેતો અને આ દરમિયાન જ જ્યોત્સ્ના સાથે તેની આંખ મળી ગઈ હતી.

આ દરમિયાન ગત 26 ઓગસ્ટના રોજ અશ્વિન ગેસનો બોટલ ભરાવવા માટે ગયો હતો, જયારે તે પરત આવ્યો ત્યારે તેની પત્ની ઘરે નહોતી, પૂછવા ઉપર તે પિયર ગઈ હોવાનું જાણવા મળ્યું. આ સમયે જ્યોત્સ્ના 6 મહિનાની ગર્ભવતી હતી. ત્યારે અશ્વિનને શંકા જતા તેને મિત્ર દશરથના ઘરે પણ તપાસ કરી તે પણ ત્યાં હાજર નહોતો. જેના બાદ તપાસ કરતા સામે આવ્યું કે દશરથ જ જ્યોત્સ્નાને ભગાડી ગયો છે.
ત્યારે અશ્વિને પોલીસ ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસ સ્ટેશનમાં અરજી કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થઇ નહોતી. જેના બાદ ગત 2 સપ્ટેમ્બરના રોજ અશ્વિને આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું. આપઘાત કરતા પહેલા તેને એક વીડિયો પણ શેર કર્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી. આ મામલે મૃતક અશ્વિનના પિતાએ લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધવી હતી જેનાબ યાદ પોલીસે આ મામલે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.