વિષ્ણુ ભગવાનનું આપણે કોઈપણ ચિત્ર લક્ષ્મી માતા સાથે જોઈએ ત્યારે આપણે હંમેશા લક્ષ્મી માતાને વિષ્ણુ ભગવાનના ચરણોમાં જ બેસી તેમના પગ દબાવતા જોયા હશે, જેને લઈને આજના ઘણા પુરુષો એવું પણ માનતા હોય છે કે ભગવાન પણ એક સ્ત્રીને જો ચરણોમાં સ્થાન આપતા હોય તો આપણે પણ સ્ત્રીને પગમાં જ રાખવી, જેના કારણે ઘણા પુરુષો આજે પણ સ્ત્રીને પોતાના પગમાં જ રાખવાનું માનતા હોય છે.

પરંતુ આ વાત આપણા મનુષ્યોએ જ ઉપજાવી કાઢી છે, ભગવાન વિષ્ણુના ચરણોમાં માતા લક્ષ્મીનું સ્થાન હોવાનું કારણ સાવ જુદું છે જેને જાણ્યા વિના જ લોકો પોતાના અભિપ્રાયો આપવા લાગી જાય છે, પોતાના મંતવ્યો બાંધી લેતા હોય છે. પરંતુ આજે હું તમને કેટલાક કારણો જણાવીશ તેના દ્વારા તમે પણ જાણી શકશો સાચું શું છે અને ખોટું શું?

સૌ પ્રથમ હું આ વાતને બે પ્રસંગો દ્વારા સમજાવીશ.

રાધા અને કૃષ્ણ:
એક સમયે રાધાજીને પગમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો ત્યારે આસપાસ કોઈ હતું નહિ, ભગવાન કૃષ્ણને આ વાતની જાણ થઇ પરંતુ તે એક પુરુષ રૂપે હોવાના કારણે રાધાજીનો દુઃખાવો કેવી રીતે દૂર કરી શકે તે મૂંઝવણમાં હતા. માટે ભગવાન કૃષ્ણએ ગોપીનું રૂપ ધારણ કરી અને રાધાજી પાસે ગયા, રાધાજી પાસે જઈને શ્રી કૃષ્ણએ રાધાના પગ દબાવી તેમનો દુઃખાવો દૂર કર્યો હતો.

ભગવાન કૃષ્ણએ પણ રાધાજીના પગ દબાવવામાં નાનમ સમજી નહોતી કારણ કે તેમના માટે પણ રાધાજીની પીડાનું મહત્વ વધારે હતું, તેને દૂર કરવા માટે તેમને પગ દબાવવાનું પણ કામ કર્યું, આ દૃષ્ટાંત દ્વારા શ્રી કૃષ્ણએ એજ સમજ આપી હતી કે જરૂર પડે ત્યારે પુરુષ પણ સ્ત્રીની સેવા કરી જ શકે છે. એજ સાચા પ્રેમનું ઉદાહરણ છે.

શિવ પાર્વતી:
શિવજીને ભોળા શંભુની સાથે સૌથી ક્રોધિત દેવ પણ માનવામાં આવે છે. પરંતુ એક સમયે પાર્વતી માતાએ જયારે મહાકાળીનું રૂપ ધારણ કર્યું હતું ત્યારે તેમનો ક્રોધ શાંત કરાવવા માટે શંકર ભગવાનને પણ તેમના પગમાં જઈને પડવું પડ્યું હતું, જયારે શિવજી ઉપર માતાજીએ પોતાનો પગ મુક્યો ત્યારે તેમનો ક્રોધ શાંત થયો હતો. આ દૃષ્ટાંતમાં પણ શિવજી મહાદેવ હોવા છતાં પણ પોતાના પદની ચિંતા કર્યા વિના જ પાર્વતીના ચરણોમાં પડ્યા હતા એ જોવા મળે છે.

છતાં પણ મનુષ્યો સાચી હકીકત જાણ્યા વગર જ પોતાની જાતે જ કેટલીક બાબતો નક્કી કરી લેતા હોય છે અને વર્ષો સુધી સ્ત્રીના સ્થાન વિશેની અફવાઓ પણ ફેલાવતા હોય છે અને લોકો આ આફવાઓને સાચી માની અને સ્ત્રીનું સ્થાન પણ નક્કી કરી લેતા હોય છે. ભગવાન શિવજીએ તો સ્ત્રી અને પુરુષ એક સમાન હોવા માટેની વાત દુનિયાને બતાવવા માટે અર્ધનારેશ્વરનું રૂપ પણ ધારણ કર્યું હતું છતાં પણ લોકોને એ વાત સમજ આવતી નથી.

ભગવાન વિષ્ણુના ચરણોમાં દેવી લક્ષ્મીજીનું સ્થાન હોવા પાછળનું પણ મુખ્ય કારણ એજ હતું કે જો તમે ભગવાન વિષ્ણુને પામવા માંગતા હોય તો તેમના ચરણો દ્વારા જ એ માર્ગ ખુલે છે, કોઈ પણ વ્યક્તિનું દિલ જીતવા માટે તેના ચરણો દ્વારા જ રસ્તો ખૂલતો હોય છે, કોઈપણ વ્યક્તિના ચરણોમાં વંદન કરી સારા આશીર્વાદ પણ મળતા હોય છે, કોઈના પગ દબાવવાથી પૂણ્યની પ્રાપ્તિ પણ થતી હોવાનું કહેવામાં આવ્યું છે. માટે સ્ત્રીને પગની રજ સમજનાર પુરુષોએ એ પણ વિચારી લેવું જોઈએ કે જો સ્ત્રી ઈચ્છે તો પુરુષને પણ પોતાના ચરણોમાં પણ પાડવાની તાકાત ધરાવે છે પરંતુ તે પોતાના સંસ્કારો અને મર્યાદાના કારણે જ બંધાયેલી રહે છે.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.