થોડા સમયથી આપણા દેશમાં બે જૂથો પડી ગયા હોય એમ લાગે છે. હિન્દૂ અને મુસ્લિમ. ઘણા લોકો પહેલા ભાઈની જેમ રહેતા હતા આજે આ વિરોધના કારણે એકબીજાના દુશ્મન થઈને બેઠા છે. સોશિયલ મીડિયા ઉપર જોઈએ તો આજ ચર્ચાઓ ચાલી રહી છે. હિન્દૂ મુસ્લિમ માટે અપશબ્દો બોલે છે તો મુસ્લિમ હિંદુઓ માટે. પરંતુ શું હકીકતમાં એ દરેક મુસલમાન કે દરેક હિન્દૂ ખરાબ જ હોય છે જેમની કોમ આવા દુષ્કૃત્યો અને આંદોલનો પાછળ જોડાયેલી હોય છે?

પોતાની જાતને જ પૂછવા જેવો આ સવાલ છે અને જવાબ તમારી અંદર જ રહેલો છે. ઘણા એવા લોકો છે જેમને આ બધાથી કોઈ લેવા દેવા નથી. ઘણા લોકોને શાંતિ જ જોઈએ છીએ. એ પછી હિન્દૂ હોય કે મુસલમાન. હુલ્લડો કરનારા, આંદોલનો કરનારા, તોડફોડ કરનારા તો એ લોકો છે જેમની પાસે કોઈ કામ ધંધો નથી, એમને ના દેશની પડી છે ના પોતાના ધર્મની, ના પોતાના પરિવારની. એ તો બસ એવા લોકોનો સાથ આપે છે જે આ દેશનું અહિત જ ઈચ્છી રહ્યા છે. જે લોકોને દંગા કરવામાં, ઉશ્કેરણી કરવામાં મઝા આવી રહી છે. પરંતુ એમની સાથે ઘણા એવા લોકો પણ આવી ઘટનાઓનો ભોગ બની જતા હોય છે જેને આવી ઘટનાઓ સાથે દૂર દૂર સુધી કોઈ જ લેવા દેવા નથી હોતી. એમને તો બસ પોતાની નોકરી, વ્યવસાય અને પરિવાર સલામત રહે તેવી જ ઈચ્છા રહેલી હોય છે.

પરંતુ આપણે શું કરીએ છીએ? હિન્દૂ હોય કે મુસલમાન. સોશિયલ મીડિયા ઉપર એકબીજા ઉપર આરોપો જ મુક્યા કરીએ છીએ અને આરોપો પણ કોની ઉપર? જે વ્યક્તિને આ બાબતો સાથે કોઈ લેવા દેવા ના હોય તેની ઉપર. ઘણા લોકો સોશિયલ મીડિયા ઉપર આવી રીતે કોઈ હિન્દૂ કે મુસલમાનને સંભળાવવામાં પોતાની જાતને દેશભક્ત સમજવા લાગે, પણ ભાઈ સાચી દેશભક્તિ સંભળાવવામાં નહિ પરંતુ સહન કરવામાં છે. આવી કોઈ ઘટનાઓ થાય ત્યારે આપણામાં દેશભક્તિ ઉમટી આવે છે. પરંતુ આવા સમયે જો તમે ભાઈચારો કેળવશો તો તમારી આવનાર પેઢી પણ આ બધાથી દૂર હશે.

આ નફરતની આગ કોણ ફેલાવી રહ્યું છે? આપણી અંદરથી જ કેટલાક લોકો. એમાં કેટલાક હિન્દૂ છે તો કેટલાક મુસલમાન. કોઈ વ્યક્તિને દૂર દૂર સુધી આવી બાબતોથી કોઈ લેવા દેવા ના હોય તેને પણ સોશિયલ મીડિયા કે જાહેરમાં ટોર્ચર કરીને તેના મનમાં પણ આપણી કોમ, આપણી જ્ઞાતિ, આપણા સમાજ વિશે નફરત ભરી રહ્યા છીએ. અને આ નફરતનું ઝેર એવું છે જે પેઢીઓની પેઢીઓ સુધી ચાલતું આવશે. જે વ્યક્તિએ શાંતિથી રહેવાનું નક્કી કર્યું હશે એ પણ તમારી વાતોથી જ ઉશ્કેરાઈ જશે. આ નફરતનું ઝેર ફેલાવવાના બદલે આપણે જો માનવતા ફેલાવીશું, ભાઈચારો ફેલાવીશું તો ચોક્કસ એક દિવસ એવો જરૂર આવશે જયારે આવા આંદોલનો, આવા વિરોધો, આવા હુલ્લડોનું દેશમાં દૂર દૂર સુધી ક્યાંય સ્થાન નહિ હોય.

આ બધું રોકવા માટે જો કોઈએ જાગૃત થવાની જરૂર છે તો એ છે યુવાનોએ. હું માનું છું કે બંને સમુદાયમાં એવા લોકો છે જેને આવા વિરોધોમાં, આવા હુલ્લડોમાં, આવા આંદલોનમાં કોઈ રસ નથી. એવા લોકોએ ખુલીને બહાર આવવું જોઈએ અને પોતાના જ સમુદાયના લોકો જે સમાજમાં આવા દુષણો ફેલાવી રહ્યા છે તેમને બહાર લાવવા જોઈએ. બંને સમુદાયના લોકોએ એકબીજાની વાત સાંભળવી જોઈએ, હિંદુ હોય કે મુસ્લિમ જો તમને એમ લાગે કે આ વ્યક્તિ યોગ્ય છે તો ખુલીને એના સમર્થનમાં આવું જોઈએ કોઈપણ જાતનો જાતિબાધ રાખ્યા વિના. ત્યારે જ આ દેશમાં એકતાનું નિર્માણ થશે. ખોટા ઝઘડા અને આવા લોહિયાળ વિરોધોથી ના કોઈનું ભલું થયું છે ના આવનાર ભવિષ્યમાં ક્યારેય થશે.

જો તમે પણ શાંતિ ફેલાવવામાં માનતા હોય, તમારા બાળકો, તમારી માતા, બહેન દીકરી કોઈપણ જાતના ડર વિના હરીફરી શકે તેમ ઈચ્છતા હોય તો ભાઈચારો ફેલાવવામાં એકબીજાનો પૂરતો સાથ આપો. કારણ કે કોઈપણ ધર્મ, કોઈપણ ગ્રંથ નફરતની ભાવના ફેલાવવાની સલાહ ક્યારેય નથી આપતો. હિન્દુને પણ જરૂર પડે છે મુસ્લિમની તો મુસ્લિમને પણ હિંદુની જરૂર પડતી જ હોય છે. બંને એકબીજા માટે પૂરક છે.

આપણે આપણી આવનાર પેઢીને શું આપવા માંગીએ છીએ એ જરા વિચારજો….!!!
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.