ગોઝારો શનિવાર! ગુજરાતમાં બે મોટા અકસ્માત…દ્વારકા જતી બસ પલટી, સુરતથી ઉદયપુર ડેસ્ટિનેશન વેડિંગમાં જતી બસમાં લાગી આગ

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે અકસ્માતની બે ઘટનાઓ સામે આવી છે. જેમાં, સુરતથી ઉદયપુર ડેસ્ટિનેશન વેડિંગમાં જતી જાનૈયાઓની બસમાં સાબરકાંઠા નજીક આગ લાગી હતી. જેના કારણે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી દુર્ઘટનામાં અમદાવાદથી દેવભૂમિ દ્વારકા જતી એક ખાનગી બસ દ્વારકા નજીક પલટી હતી. જેમાં 20 જેટલા મુસાફરોને ઘાયલ થયા છે.

સુરતથી ઉદયપુર જતી જાનૈયાઓની બસ ભડકે બળી

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજનાં કતપુર ટોલ પ્લાઝા નજીક સુરતથી ઉદયપુર જઈ રહેલી મુસાફરોથી ભરેલી એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, તમામ મુસાફરો બસમાંથી ઉતરી જતાં જાનહાનિ ટળી હતી. પરંતુ બસ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે, લગ્ન પ્રસંગનાં મહેમાનોને લઈ આ બસ સુરતથી ઉદયપુર જઈ રહી હતી. આગ લાગતાં 42 મુસાફરનો આબાગ બચાવ થયો હતો, જ્યારે બધો સમાન બળીને ખાખ થઈ ગયો હતો.

દેવભૂમિ દ્વારકા જતી બસને અકસ્માત નડ્યો

અમદાવાદથી દ્વારાકા જતી ખાનગી બસને કુરંગા ચોકડી નજીક અકસ્માત નડ્યો હતો. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી. આ બસમાં સવાર 20 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. જેમને એમ્બ્યુલન્સ મારફતે દ્વારકાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 4થી 5 લોકોને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે.

Twinkle