હચમચાવી દે તેવી ઘટના: એક સાથે 3-3 બહેનોએ ફાંસીના ફંદે લટકી મોતને કર્યું વહાલું, ઝાડ સાથે લટકેલી મળી લાશો

ત્રણ સગી બહેનોએ લીમડાના ઝાડ સાથે એક જ દોરડા ઉપર લટકીને કરી લીધો આપઘાત, આખા ગામમાં છવાયો માતમ

ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના મામલાઓ સતત વધી રહ્યા છે, ઘણા લોકો પ્રેમ પ્રસંગોમાં તો ઘણા લોકો આર્થિક સંકળામણમાં તો ઘણા લોકો પારિવારિક સમસ્યાઓના કારણે મોતને વહાલું કરવાનું વિચારતા હોય છે, ઘણીવાર સામુહિક આપઘાતના મામલાઓ પણ સામે આવતા રહે છે, હાલ એવો જ એક મામલો ચર્ચામા છે, જેમાં ત્રણ સગી બહેનોએ આપઘાત કરી લેતા ચર્ચાનો માહોલ ગરમાયો છે.

આ ઘટના સામે આવી છે મધ્યપ્રદેશના ખંડવામાંથી. જ્યાં ત્રણ સગી બહેનોએ એક જ દોરડાથી લટકીને આપઘાત કરી લીધો. આ ઘટના બાદ ગામમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખંડવા જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. પોલીસ આત્મહત્યા પાછળનું સાચું કારણ શોધવામાં વ્યસ્ત છે.

આ ચોંકાવનારી ઘટના ખંડવા જિલ્લાના જવર પોલીસ સ્ટેશન વિસ્તારના કોઠાઘાટ ગામની છે. ત્રણેય બહેનો તેમની માતા અને ભાઈ સાથે રહેતી હતી. પિતાનું અવસાન થઈ ચૂક્યું છે. સામાન્ય દિવસોની જેમ મંગળવારે રાત્રે પણ ત્રણેય બહેનોએ માતા અને ભાઈ સાથે ભોજન લીધું હતું. તે પછી બધા સૂઈ ગયા. રાત્રે દસેક વાગ્યે માતા જાગી ત્યારે બીજા રૂમમાં જઈને જોયું તો ત્રણેય દીકરીઓ ગાયબ હતી. તે રાત્રે ટોર્ચ લઈને શોધવા નીકળી હતી. થોડા સમય પછી, ત્રણેય બહેનો લીમડાના ઝાડ પર એક જ દોરડા વડે ગળામાં ફાંસો બાંધી લટકતી હતી. આ જોઈને માતાના હોશ ઉડી ગયા.

મૃતકના ભાઈએ જણાવ્યું કે અમે આઠ ભાઈ-બહેન છીએ (ત્રણ બહેનો હવે નથી). ત્રણેય બહેનો સાનુ (23), સાવિત્રી (20) અને લલિતા (19) મંગળવારે બજારમાં ગઈ હતી. બધાએ રાત્રિભોજન કર્યું અને સૂઈ ગયા. આ દરમિયાન રાત્રિના સમયે ત્રણેય બહેનો ઘરની બહાર આવી હતી અને બહારથી દરવાજાનું તાળું લગાવી દીધું હતું. માતા જાગી ત્યારે બહેનો ગાયબ હતી. તેણે મને જગાડ્યો. બહાર જઈને માતાએ જોયું કે ત્રણેયએ લીમડાના ઝાડ પર દોરડા વડે ફાંસો ખાઈ લીધો હતો. સાનુ હજુ કોલેજમાં ભણતી હતી. સાવિત્રી પરિણીત હતી અને લલિતા સૌથી નાની હતી. તેની સાથે શું સમસ્યા હતી, તેણે ક્યારેય કહ્યું નહીં. અમારે કોઈની સાથે દુશ્મની નથી.

આ મામલે એડિશનલ એસપી સીમા અલાવાએ જણાવ્યું કે એક જ પરિવારની છોકરીઓએ આત્મહત્યા કરી છે. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો જણાય છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે. ત્રણેયે એક જ દોરડાથી લટકીને આત્મહત્યા કરી હતી. હજુ સુધી કોઈ સુસાઈડ નોટ કે પુરાવા મળ્યા નથી. ઘરમાં પણ ઝઘડો થયો હોવાની ખબર નથી.

Niraj Patel