આ છે સુરતની આત્મનિર્ભર કિન્નર: જેને લોકડાઉનમાં થઇ ગયું દેવું તો હવે ફરસાણનો વ્યવસાય કરીને મહિને કમાય છે આટલા હજાર રૂપિયા

કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે ઘણા લોકોના રોજગાર ધંધા છીનવાઈ ગયા, ઘણા લોકોની નોકરીઓ પણ છૂટી ગઈ. ત્યારે આર્થિક રીતે ઘણા લોકો હેરાન પણ થઇ રહ્યા છે. આવી જ એક ઘટના સુરતના એક કિન્નર સાથે બની, પરંતુ તેને પરિસ્થિતિ સામે હાર ના માની અને તેનો સામનો કરી આજે દર મહિને હજારો રૂપિયા કમાઈ રહી છે.

આ કહાની છે સુરતના રાજવી જાન નામના કિન્નરની. જેમને પાંચ વર્ષ પહેલા એક પેટ શોપ શરુ કરી હતી. જેનાથી તેમને સારી એવી આવક પણ મળતી હતી. પરંતુ ગયા વર્ષે કોરોનાના કારણે બધું જ ચોપાટ થઇ ગયું. અને તેમને પોતાનો આ ધંધો બંધ કરવો પડ્યો. પરંતુ તેમની તકલીફ એટલે જ અટકી નહિ, સતત ચાલી રહેલા લોકડાઉન અને કોરોના વાયરસના કારણે તેમના માથે દેવું પણ થઇ ગયું હતું.

આ બાબતે રાજવી જણાવે છે કે, “એ સમયે ઘણીવાર મનમાં આત્મહત્યા કરવાનો પણ વિચાર આવ્યો. પરંતુ હિંમત ભેગી કરી અને ગયા વર્ષે ઓક્ટોબરમાં નમકીનની દુકાન ખોલી.” આ નમકીનની દુકાનમાંથી આજે રાજવી રોજના 1500 થી 2000 રૂપિયાનો વ્યવસાય કરે છે.

રાજવી પોતાના જીવન વિશે જણાવતા કહે છે કે, “મારો જન્મ સુરતના ઠાકોર પરિવારમાં થયો હતો. માતા પિતાએ મારુ નામ ચિતેયુ ઠાકોર રાખ્યું. મારો જન્મ એક કિન્નરના રૂપમાં થયો હતો. તે છતાં પણ મારી માતાએ મને ખુબ જ પ્રેમ આપ્યો અને આજે પણ મારો સહારો બની છે.  મારા જેવા બાળકોને લોકો કિન્નર સમાજને સોંપી દે છે. પરંતુ મારી માતાએ આમ ના કર્યું. અને મારો બહુ જ સારી રીતે ઉછેર કર્યો.”

તે આગળ જણાવે છે કે “મને બાળપણથી જ એક દીકરાના રૂપમાં ઉછેરવામાં આવ્યો હતો અને મારા કપડાં પણ છોકરાની જેમ પહેરાવવામાં આવતા. બીજા માતા પિતા પણ મારા જેવા જન્મવા વાળા બાળકોને સારી રીતે ઉછેરી શકે છે. જેના કારણે તે પોતાના પગ ઉપર ઉભા થઇ શકે અને સામાન્ય જીવન જીવી શકે.”

રાજવીએ એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતની અંદર મોટી સંખ્યામાં કિન્નર સમુદાય રહે છે. જેના કારણે તે ઘરમાં રહેતા હોવા છતાં પણ 12 વર્ષની ઉંમરમાં સુરતના કિન્નર મંડળ સાથે જોડાઈ ગઈ હતી. મંડળમાં પણ તેને કિન્નર સાથીઓનો ખુબ જ પ્રેમ મળ્યો હતો.  આજે ગુજરાતના લગભગ 95 ટકા કિન્નર તેને ઓળખે છે અને દરેક રીતે તેને સાથ આપે છે.”

રાજવીએ 18 વર્ષની ઉંમરમાં જ ટ્યુશન ક્લાસ શરૂ કર્યા હતા અને તે બાળકોને અંગ્રેજી ટ્યુશન ભણાવતી હતી. તેને 11 વર્ષ સુધી ટ્યુશન ક્લાસ ચલાવ્યા. રાજવીએ 32 વર્ષની ઉંમરમાં પુરુષનો પહેરવેશ છોડી દીધો અને કિન્નર રૂપમાં જ પોતાનું અસલી જીવન શરૂ કરી દીધું અને પોતાનું નામ પણ બદલીને રાજવી રાખી લીધું.

Niraj Patel