ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને સગીર યુવતિઓ પર દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર યુવકો દ્વારા કે આધેડ દ્વારા મહિલાઓને ફસાવી અને લગ્નની લાલચ આપી પોતાની હવસ સંતોષતા હોય છે. ત્યારે હાલ રાજકોટમાંથી એક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પોલિસ જમાદારે લગ્નની લાલચ આપી એક વર્ષમાં ઘણીવાર વિધવા પર દુષ્કર્મ આચર્યુ હતુ. હાલ તો પોલિસે નિવૃત્ત જમાદાર સામે ગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે. વેરાવળમાં રહેતી 39 વર્ષિય વિધવા જેને મામા કહીને સંબોધતી હતી તે જમાદારે જ તેની સાથે ખરાબ કૃત્ય કર્યુ હતુ. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
વિધવા મહિલાએ રાજકોટ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપી દેવશી પરમાર કે જે નિવૃત્ત જમાદાર છે અને ગાંધીગ્રામના મોચીનગરમાં રહે છે તેની પોલિસે શોધખોળ હાથ ધરી હતી. ફરિયાદમાં પીડિતાએ જણાવ્યુ હતુ કે, વર્ષ 2001માં ચોટીલામાં તેના લગ્ન થયા હતા અને આ લગ્નથી તેને એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પતિનું મોત થયા બાદ તે પોતાના બાળકો સાથે શાપરમાં રહેવા આવી હતી અને ત્યારે તે પરિવાર સાથે રાજકોટમાં લક્ષ્મીના ઢોરે કટારિયા શો રૂમની સામે રહેતી હતી. આ દરમિયાન આ વિધવા મહિલા નિવૃત્ત જમાદારને વિધવાની વિકલાંગ માતા ભાઇ કહેતી હતી.
આ જમાદાર ઘણીવાર તેમના ઘરે આવતો જતો રહેતો હતો. વિધવા આરોપી જમાદારને મામા કહેતી હતી. તે પરિવારની આર્થિક મદદ પણ કરતો હતો. જેને કારણે બંને વચ્ચે મનમેળ થતા વિધવા અને બંને વાતચીત કરવા લાગ્યા હતા. વિધવાને પોતાની જાળમાં ફસાવ્યા પછી આરોપી પોતાના પરિવારને છોડી લગ્ન કરશે તેવી વાત વિધવા સાથે કરી અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા જો કે તેણે એવું પણ વિધવાને કહ્યુ હતુ કે તારું અને તારા બાળકોનું ભરણપોષણ પણ કરીશ. આરોપીએ પીડિતાને લગ્નની લાલચ આપી ટીટોળિયાપરામાં ભાડાનું મકાન અપાવ્યુ.
આરોપી તેની સાથે ત્રણ મહિના રહ્યો પણ હતો અને એક દિવસ અચાનક જ તે જતો રહેતા વિધવા તેના બાળકો સાથે શાપર રહેવા ગઇ હતી. જો કે, 13 જૂનના રોજ શાપરમાં તે વિધવાના ઘરે આવ્યો અને તેને ગાળો ભાંડી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા. જે બાદ તે કોઇક દસ્તાવેજ લઇને ગયો હતો અને તેમાં વિધવાની સહી પણ કરાવી હતી. આ જમાદારના બાળકોના ઘરે પણ બાળકો છે અને તેમ છત્તાં પણ તેણે એક વિધવા મહિલાને ફસાવી અને એકાદ વર્ષ સુધી તેના પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે.