વર્ષોથી આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવતા આવ્યા છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે અને ભાઈ પણ બહેનને ભેટ આપે છે, તેમજ તેની રક્ષા કરવાનું વચન પણ આપે છે.

ઘણા લેખો અને ઘણી ફિલ્મોમાં રક્ષા બંધનનું મહત્વ આપણે જોયું જ હશે, પરંતુ ઘણા લોકોને એ વાતની ખબર નહીં હોય કે ક્યારથી રક્ષા બંધનની શરૂઆત થઇ, આ પર્વ શા કારણે ઉજવવામાં આવે છે. તો આજે અમે તમને આ પર્વની શરૂઆત ક્યારથી થઇ અને આ રક્ષાબંધને ભાઈને રાખડી બાંધવાનું મુહૂર્ત કેટલા વાગ્યાનું છે તેના વિશે જણાવીશું.

રક્ષાબંધનની શરૂઆત:
પૌરાણિક કથાઓ અને ગ્રંથો પ્રમાણે રાજસૂય યજ્ઞ વખતે ભગવાન શ્રી કૃષ્ણને દ્રૌપદીએ રક્ષા સ્વરૂપે પોતાના પાલવમાંથી એક છેડો ફાડીને બાંધ્યો હતો. ત્યારબાદથી રક્ષાબંધનના તહેવારની શરૂઆત થઇ હતી. અને ત્યારથી લઈને આજસુધી બહેન શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવાતા રક્ષાબંધનના પાવન દિવસે ભાઈના કાંડા ઉપર રાખડી બાંધે છે.

કેવી રીતે ઉજવવી રક્ષાબંધન:
આપણા દેશમાં રક્ષાબંધનનો તહેવાર પરિવારની હાજરીમાં ખુબ જ હર્ષોલ્લાસથી ઉજવાય છે. રક્ષાબંધનના દિવસે સવારે વહેલા ઉઠી. ભાઈ અને બહેન બંનેએ નાહી ધોઈ, ઘરની સાફ સફાઈ કરી અને બહેને પૂજાની થાળી તૈયાર કરવી અને યોગ્ય મુહૂર્તમાં ભાઈના કાંડા ઉપર રાખડી બાંધી અને મીઠાઈ ખવડાવવી તેમજ ભાઈ દ્વારા આપવામાં આવેલી ભેટ સ્વીકારવી, ભાઈએ પણ પોતાની ઈચ્છાશક્તિ પ્રમાણે બહેનને ભેટ આપવી.

રક્ષાબંધનનું મુહૂર્ત:
આ વર્ષે 3 ઓગસ્ટના રોજ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. આ દિવસે રાહુ શુક્ર સાથે મિથુન રાશિમાં, કેતુ અને ગુરુ ધન રાશિમાં રહેશે. શનિ પોતાની જ રાશિ મકરમાં ચંદ્ર સાથે રહેશે. શનિ-ચંદ્રની યુતિથી વિષયોગ બને છે. જેના કારણે રક્ષાબંધનનો દિવસ ખાસ છે.

રક્ષાબંધન ઉજવવાનો ધાર્મિક શુભ સમય 3 ઓગસ્ટના રોજ સવારે 9:28થી લઈને રાત્રે 9:14 સુધીનો રહેશે, આ દિવસે આખા દિવસ દરમિયાન ભાઈને રાખડી બાંધી શકાશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.