ગુંદાળા સ્કૂલ બસે 9 વર્ષની બાળકીને કચડી નાખી, બાળકી બસમાંથી જેવી ઉતરી કે તરત જ ડ્રાઇવરે બસ હંકારી…

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવે છે, જેમાં કેટલીકવાર વાહનમાં તકનીકી ખામી કે પછી કેટલીકવાર ડ્રાઇવરની ભૂલને કારણે અકસ્માતોની ઘટના બને છે. કેટલાક અકસ્માતોમાં તો નિર્દોષ લોકોને મોતને ભેટવાનો પણ વારો આવતો હોય છે. ત્યારે હાલમાં એક ગોઝારા અકસ્માતનો મામલો રાજકોટના જેતપુરમાંથી સામે આવ્યો છે. આ અકસ્માતમાં માસૂમ 9 વર્ષિય બાળકીનું મોત થયુ છે.

ધોરાજીનાં ફરેણી ખાતે આવેલી સ્વામીનારાયણ સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરતી 9 વર્ષિય બાળકીને તેની પોતાની સ્કૂલની બસ મુકવા આવી હતી અને આ દરમિયાન જ સ્કૂલ બસની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ હતું. જો કે, આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ઘટનાના જે CCTV સામે આવ્યા છે,

તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાળકી સ્કૂલ બસમાંથી ઉતરી તેના ઘર તરફથી બસની આગળથી જવાનો પ્રયાસ કરી રહી હતી અને ત્યારે જ બસ ડ્રાઈવરને ખ્યાલ ન રહેતા તેણે બસ હંકારી. આ દરમિયાન બાળકી પર બસના આગળના ટાયર ફરી ગયા બાદ પણ ડ્રાઈવરને ખ્યાલ ન આવતા બસના પાછલાં ટાયર પણ બાળકી પર ફરી વળ્યા હતા અને ઘટનાસ્થળ પર જ બાળકીએ દમ તોડી દીધો હતો. જો કે, આ અકસ્માત બાદ બાળકીને જેતપુર સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી,

ત્યારે ફરજ પરનાં ડોકટરે આ અકસ્માતમાં ફોરેન્સિક પીએમ કરાવવા માટેનું જણાવતા મામલો બીચકાયો અને પછી જેતપુર-જામકંડોરણાનાં ધારાસભ્ય જયેશ રાદડીયા તાત્કાલિક ધોરણે દોડી આવ્યા બાદ તેમણે પરિવારની પડખે રહીને સિવિલનાં ડોક્ટરનો કડક શબ્દોમાં ઉધડો લીધો હતો અને અપશબ્દો બોલી તાત્કાલિક પી.એમ કરવા માટે ધમકાવ્યા હતા. જણાવી દઇએ કે, આ ગોઝારા અકસ્માતમાં મોતને ભેટેલી બાળકીનું નામ કેસ્વી અરવિંદભાઈ અભંગી છે.

Shah Jina