ગુજરાતમાંથી ઘણીવાર યુવતિઓ અને મહિલાઓ સાથે સાથે સગીરાઓની છેડતી અને દુષ્કર્મના કિસ્સા સામે આવે છે. આવા કિસ્સામાં ઘણીવાર પીડિતા દ્વારા કંટાળી આપઘાત પણ કરી લેવામાં આવતો હોય છે. ત્યારે હાલમાં જ રાજકોટમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકના આતંકથી કંટાળી ધોરણ 7ની વિદ્યાર્થીનીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. સગીરાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને એ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજ્યમાંથી છેલ્લા કેટલાક સમયમાં સગીરાઓ પર દુષ્કર્મના બનાવો અને છેડતીના કિસ્સાઓ ઘણા સામે આવી રહ્યા છે અને ઘણા નરાધમો દ્વારા પોતાની હવસ સંતોષવા નાની બાળકીઓને પણ છોડવામાં નથી આવતી. જણાવી દઇએ કે, જેતપુરમાં અઢી વર્ષની બાળકી પર એક નરાધમે દુષ્કર્મ આચર્યુ હતુ અને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી, જે બાદ હવે રાજકોટમાં એક 13 વર્ષની સગીરાએ એક યુવકની છેડતી અને લગ્નના દબાણથી કંટાળી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જો કે, તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મોચીબઝરમાં આવેલ મમરા ચેમ્બર્સ નજીક રહેતાં રીક્ષા ડ્રાઇવર આસીફભાઈની 13 વર્ષની દીકરીએ પોતાના ઘરે જ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલાની જાણ થતા જ એ ડિવિઝન પોલીસ તાત્કાલિક દોડી ગઇ હતી અને સગીરાના પિતાનું નિવેદન નોંધ્યુ હતુ. પીડિતાના પિતાએ જણાવ્યું કે, તેમની દીકરી આઇ.પી.મિશન સ્કૂલમાં સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. ઈરફાન યાસીન જસરાયા નામનો યુવક તેની ઘણા સમયથી પજવણી કરતો,

તે તેની પાછળ સ્કૂલે જઈ તેની છેડતી પણ કરતો અને કહેતો કે તારે મારી સાથે ભાગીને લગ્ન કરવા જ પડશે. તે તેને મારી નાખવાની ધમકી પણ આપતો હતો. તેમણે વધુમાં જણાવ્યુ કે, તેને સગીરાને ધરારથી એક મોબાઈલ ફોન આપ્યો આ મામલે તેણે જાણ કરતા તેના ઘરે જઈ મોબાઈલ પરત પણ કરાયો હતો અને સગીરાને હેરાન ન કરવા પણ સમજાવ્યો. જો કે, તે ફરીવાર સગીરાનો પીછો કરી બીજીવાર તેને બળજબરી પૂર્વક મોબાઈલ આપી ગયો અને ધમકી પણ આપી. જેને લઇને ઈરફાનના ત્રાસથી કંટાળી અંતે સગીરાએ ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.