એક દિવસ બનાવ્યું એવું મશીન, જેના કારણે બની ગયો કરોડપતિ, વાંચો એક સત્યઘટના: રાતો રાત કિસ્મત બદલાઈ જવી એ તો માત્ર નસીબના ખેલ હોય છે. પરંતુ જો તમારી મહેનત અને લગન સાચી હોય તો તમને સફળ થતા કોઈ રોકી શકે એમ નથી.

સફળતા મેળવવા માટે પણ સંઘર્ષ ખુબ જ જરૂરી હોય છે. સાહસ વગર સિદ્ધિ નથી મળતી એ વાત આપણે સૌ જાણીએ છીએ. આજે એવા જ એક ખેડૂતની વાત અમે કરવા જઈ રહ્યા છે જેને દેવામાં ડૂબી જવા છતાં પણ પોતાની હિમ્મત હાર્યો નહીં, રીક્ષા ચલાવી અને ફૂટપાથ ઉપર પણ સુઈ ગયો અને અચાનક તેને એક મશીન બનાવવાનો વિચાર આવતા તેને પોતાના સપનાને પૂરું કર્યું અને આજે કરોડોનો વ્યવસાય કરી રહ્યો છે.

આ હકીકત છે યમુનાનગરના એક નાનકડા ગામમાં રહેવા વાળા એક ખેડૂત ધર્મવીરની. જેમના બનાવેલા મશીન આજે ભારતની બહાર પણ મોકલવામાં આવે છે અને ઘણા ખેડૂતો તેમને અનુસરે છે. વાર્ષિક એક કરોડ કરતા પણ વધુનું ટર્નઓવર તેમની કંપની આજે કરી રહી છે.

પરંતુ એક સમય એવો હતો જયારે ધર્મવીર પાસે ખાવા માટેના પણ પૈસા નહોતા. પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તેની પણ સમજ પડતી નહોતી, જેથી શહેરમાં જઈને સારું કમાઈ શકાય એ ઉદ્દેશથી ધર્મવીર દિલ્હીમાં ગયો પરંતુ “મોટા શહેરની મોટી વાતો” એવું જ કંઈક ધર્મવીર સાથે થયું. કોઈકે તેને રીક્ષા ચલાવવાની સલાહ આપી અને તેને રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું. દિવસ રિક્ષામાં અને રાતો ફૂટપાથના કોઈ ખૂણામાં વીતવા લાગી. પરંતુ ઈશ્વર જાણે હજુ તેની પરીક્ષા લેવા માંગતો હોય તેમ એક અકસ્માતમાં તેનો પગ ભાંગી ગયો. જેના કારણે ધર્મવીરને દિલ્હી છોડી પોતાના ગામ પાછું ફરવું પડ્યું.

પોતાના ગામ આવીને ધર્મવીરએ પોતાની જમીનમાં ખેતી કરવાનો નિર્ણય કર્યો. દિલ્હીમાં રહ્યા બાદ ખેતી વિષે તેને થોડું જ્ઞાન મેળવી કેટલીક જડીબુટ્ટીઓની ખેતી કરવાનું વિચાર્યું પરંતુ તેમાં પણ તેને સફળતા ના મળી.

ત્યારબાદ ધર્મવીરે એલોવીરા અને ટામેટા જેવી ખેતી કરવાની શરૂઆત કરી. તેની પાસે થોડું ઘણું ટેક્નિકલ જ્ઞાન પણ હતું જેના આધારે ખેતીનું કામ સરળ થઈ શકે તે માટે કેટલાક નાના નાના મશીનો બનાવવા લાગ્યો. તેના આ મશીનો બીજા લોકોને પણ ઉપયોગી થવા લાગ્યા.

એલોવીરાનો રસ કાઢી તે બજારમાં પણ વેચવા લાગ્યો. આ ખેતીમાં તેને સારો નફો મળવા લાગ્યો અને ધીમે ધીમે પોતાના માથે રહેલું દેવું પણ તેને પૂરું કરી દીધું. એલોવીરા અને ટામેટાનું પ્રોસેસિંગ તેને બજારમાં થતું જોયું અને પ્રોસેસ થયેલી વસ્તુઓનો ભાવ પણ સારો મળતો જોયો આથી ધર્મવીરે વિચાર્યું કે જે તે પોતે જ પ્રોસેસિંગ કરવાનું મશીન બનાવે તો તેને વધુ ફાયદો થઇ શકે છે અને બીજા ખેડૂતોને પણ સારો ફાયદો થશે. ધર્મવીરે એક મશીની એક ડિઝાઇન તૈયાર કરી તેને બનાવવા માટે એક મેકેનીક્ને પણ મળ્યો જેને મશીન બનાવવા માટે 35 હજાર રૂપિયા કહ્યા. ધર્મવીરએ બીજો જુગાડ કરી એ મશીન 20 હજારમાં તૈયાર કર્યું, મશીન તૈયાર થતા 9 મહિનાનો સમય લાગ્યો. આ મશીનને “મલ્ટી પ્રોસેસિંગ મશીન” નામ આપવામાં આવ્યું.

આ મશીનની ખાસિયત હતી કે તે ગુલાબ, એલોવીરા, આંબળા, તુલસી વગેરેનું પ્રોસેસિંગ થઇ શકતું હતું જેના દ્વારા જેલ, જ્યુસ, શેમ્પુ જેવી વસ્તુઓ બની શકતી હતી. આ મશીન એટલું સરળ હતું કે તેને સરળતાથી હેરવી ફેરવી શકાતું.

ધર્મવીરે બનાવેલા આ મશીનની વાત આજુબાજુના વિસ્તારમાં ફેલાવવા લાગી અને લોકોએ તેને ખરીદવા માટે પણ ઈચ્છા દર્શાવી જેથી ધર્મવીરે આ મશીન બનાવવાની વેચવાની શરૂઆત કરી. જેની કિંમત તેમને 55 હજાર રાખી.

આ મશીન બનાવી ધર્મવીર સમાચાર પત્રોમાં પણ છવાઈ ગયા. તેમના આ અનોખા સાહસ અને સુઝને લોકોનું પ્રોત્સાહન મળવા લાગ્યું. ગુજરાતના હની બી નેટવર્ક અને જ્ઞાન ફાઉન્ડેશને તેમના આ મશીનમાં રસ દાખવ્યો. હની બીએ આ મશીનમાં કેટલાક મહત્વના ફેરફાર કરાવ્યા અને તેના 5 અલગ અલગ ડિઝાઇન તૈયાર કરી બજારમાં વેચવાના શરૂ કર્યા. જેમાં સૌથી મોટા મશીનની કિંમત 1 લાખ 80 હજાર રાખવામાં આવી જયારે સૌથી નાના મશીનને 45 હજાર રૂપિયા કિંમતે વેચવામાં આવ્યું.

ધર્મવીરની આ લગન અને મહેનત તેમજ આગવી સુઝને જોતા વર્ષ 2009માં “નેશનલ ઇનોવેશન ફૂડનેશન”નું સન્માન અને વર્ષ 2012માં “ફાર્મર સાયન્ટિસ્ટ” નો એવોર્ડ પણ રાષ્ટ્રપતિના હાથે આપવામાં આવ્યો.

આજે ધર્મવીર દ્વારા બનાવવામાં આવેલા મશીન જાપાન, દક્ષિણ આફ્રિકા, નાઈજીરિયા,કેન્યા અને નેપાળ જેવા દેશોમાં પણ નિકાસ થાય છે. તેમજ વિદેશીઓ અવાર નવાર ધર્મવીરની મુલાકાત પણ લે છે. આજે તેમની કંપની 1 કરોડથી પણ વધુનું ટર્નઓવર કરે છે.

ધર્મવીરે સાબિત કરી આપ્યું કે “કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો.” તેમને પોતાની મહેનત અને સૂઝથી આજે વિશ્વસ્તરે પોતાનું નામ ઊંચું કર્યું છે. જેની પાસે એક સમયે પેટ ભરવાનું પણ ઠેકાણું નહોતું તે આજે કરોડોની કંપનીનો માલિક છે.