BREAKING : PMના 100 વર્ષિય માતા હીરાબાની બગડી તબિયત, અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ, PM અમદાવાદ આવે તેવી શક્યતા

દેશના પ્રધાનનંત્રી મોદીને લઇને એક મોટી ખબર સામે આવી રહી છે. પીએમ મોદીની માતા હીરાબાની અચાનક તબિયત ખરાબ થઇ ગઇ છે. તેમને તાત્કાલિક મંગળવારે મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ત્યાં હવે એવી શક્યતા છે કે પીએમ મોદી માતાના સ્વાસ્થ્ય અને સ્થિતિ વિશે પૂછવા અમદાવાદ આવી શકે છે.

હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરાયાની જાણ થતા જ દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન અને અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા તેમની ખબર અંતર પૂછવા પહોંચ્યા છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ થોડીવારમાં હોસ્પિટલ પહોંચશે. ઉલ્લેખનીય છે કે, હીરાબાની તબિયત સુધારા પર હોવાનું યુ.એન.મહેતાએ સત્તાવાર રીતે હેલ્થ બુલેટિન રીલિઝ કર્યું છે. અમદાવાદના શાહીબાગમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં હીરાબાની સારવાર ચાલી રહી છે.

તેમની તબિયતને લઈને વડાપ્રધાન બપોરે બે-ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. જ્યારે વડાપ્રધાન અથવા VVIP અમદાવાદ આવે ત્યારે શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવે છે. અને તેને પગલે જ પીએમ બપોરે અમદાવાદ આવે તેની શક્યતાને પગલે તાત્કાલિક ધોરણે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી નો ડ્રોન ફલાય ઝોન અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

હીરાબાની આ પહેલા વર્ષ 2016માં તબિયત લથડી હતી જેને કારણે તેમને 108 બોલાવી ગાંધીનગરની સિવિલમાં દાખલ કરાયાં હતાં. આ ઉપરાંત તેમની તપાસ હોસ્પિટલના જનરલ વાર્ડમાં સામાન્ય દર્દીઓની જેમ જ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં જ PM મોદીની માતા હીરાબેને તેમનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ તેમના પગ ધોઈને આશીર્વાદ લીધા હતા.

ત્યાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા પીએમ મોદીએ માતા હીરાબા સાથે મુલાકાત કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ પીએમ સૌથી પહેલા તેમની માતા પાસે પહોંચ્યા હતા અને આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીએ તેમની માતા સાથે લગભગ 45 મિનિટ વિતાવી હતી. મોદી આ વર્ષે 11 અને 12 માર્ચે બે દિવસીય ગુજરાત પ્રવાસે હતા. ત્યારે 11 માર્ચે રાત્રે નવ વાગ્યે માતા હીરાબાને મળવા તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમણે માતા સાથે ખીચડી ખાધી હતી.

Shah Jina