અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા બંધાશે ભવ ભવના બંધનમાં, ઉદયપુરમાં રજવાડી અંદાજમાં યોજાશે ભવ્ય લગ્ન સમારંભ, જુઓ કોણ કોણ આપશે હાજરી અને કેવી છે તૈયારી
Parineeti Chopra Wedding Venue : બોલીવુડના સેલેબ્રિટીઓના લગ્ન જોવા માટે સૌ કોઈ આતુર હોય છે અને તેમના ચાહકો તો તેમના લગ્નને લઈને ખુબ જ ઉતાવળા પણ થતા હોય છે, ત્યારે બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ પણ થોડા સમય પહેલા જ સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સગાઇ કરી હતી, એ પહેલા બંનેના અફેરની ખબરો સામે આવી હતી, જેના બાદ સગાઈ થઇ અને હવે તેઓ લગ્નના બંધનમાં બંધાવવા માટે જઈ રહ્યા છે અને તેમના લગ્નની તારીખ પણ સામે આવી ગઈ છે.
આ તારીખે કરશે લગ્ન :
સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા આ મહિનાના અંતમાં રાજસ્થાનના ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાશે. લગ્નની વિધિઓ 23 અને 24 સપ્ટેમ્બરે ધ લીલા પેલેસ અને ધ ઓબેરોય ઉદયવિલાસમાં થશે. 200થી વધુ મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને 50થી વધુ VVIP મહેમાનો પણ લગ્ન સમારોહમાં હાજરી આપી શકશે. બુકિંગ કન્ફર્મ થતાં જ બંને હોટલમાં લગ્નની વિધિની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.
આ મહેમાનો આપશે હાજરી :
આ લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન સહિત ઘણા લોકો હાજર રહેશે. પરિણીતી ચોપરાની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ પણ લગ્નમાં હાજરી આપશે. મીડિયા રિપોર્ટ અનુસાર 23 સપ્ટેમ્બરથી પીઠી, મહેંદી અને મહિલા સંગીત સહિતના લગ્નના કાર્યક્રમો શરૂ થશે. લગ્ન બાદ હરિયાણાના ગુરુગ્રામમાં રિસેપ્શન યોજાશે.
ઉદયપુરમાં ફરશે ફેરા :
લીલા પેલેસ અને ઉદયવિલાસ સિવાય નજીકની ત્રણ હોટલમાં પણ બુકિંગ થઈ ગયું છે. VVIP મહેમાનોના મહત્વને ધ્યાનમાં રાખીને ગુપ્તચર અધિકારીઓએ હોટલોનું નિરીક્ષણ કર્યું છે. નોંધનીય છે કે બે મહિના પહેલા રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા હોટલના લોકેશન ચેક કરવા માટે વ્યક્તિગત રીતે ઉદયપુર ગયા હતા. આ કપલે 13 મેના રોજ દિલ્હીના કપૂરથલા હાઉસમાં સગાઈ કરી હતી.