પાલનપુરના રેલવે ટ્રેક પરથી એક જીવતી બાળકી મળી આવી હતી. માત્ર ત્રણ માસની નાની બાળકીને મરવા માટે રેલવે ટ્રેક પર છોડી જનાર બીજું કોઈ નહિ એ બાળકીના ખુદના માતા-પિતા હતા. એઇડ્સ ગ્રસ્ત માતા-પિતાને એ કેટલું જીવશે એની ખબર નહોતી. પોતે એઇડ્સના દર્દી હોવાથી સંતાન પણ એઇડ્સગ્રસ્ત હતું આથી પોતાની વિદાય બાદ સંતાન હેરાન થાય એના કરતાં અત્યારે જ સંતાનને મુક્તિ અપાવી દેવાના ઈરાદાથી એને રેલવે ટ્રેક પર મૂકી દેવામાં આવેલી.
માતા-પિતા એઇડ્સ ગ્રસ્ત હોવાથી વારસામાં જ એઇડ્સ લઈને આવતા આવા કેટલાય બાળકોને માતા-પિતાનો પ્રેમ નથી મળતો તો પછી સમાજનો પ્રેમ તો ક્યાંથી મળે ? આવા એચઆઇવી પોઝિટિવ બાળકો માટે કામ કરતી સુરતની એક સંસ્થાને બાળકોને રાખવા માટે કોઈ સોસાયટીમાં કોઈ જગ્યા નહોતું આપતું. ભાડે જગ્યા રાખે અને આજુબાજુ વાળાને ખબર પડે એટલે જગ્યા ખાલી કરાવે. બધા બાળકોને લઈને વળી નવી જગ્યા શોધવાની.
સુરતના હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણીને આ વાતની જાણ થઈ. સમાજના પ્રેમથી વંચિત આવા બાળકો માટે કંઈક કરવું છે એવું મહેશભાઈએ નક્કી કર્યું. સુરતમાં તાપી નદીના કાંઠા પર જ કરોડોની કિંમતનું 6 એકરનું મહેશભાઈનું એક ફાર્મ હતું. મહેશભાઈ દર વર્ષે પિતા વગરની દીકરીઓના પિતા બનીને એમના ધામધૂમથી લગ્ન કરાવે છે જેનાથી બધા પરિચિત છે.(અત્યાર સુધીમાં પિતા વગરની 3000થી વધુ દિકરીઓનું એમણે કન્યાદાન કર્યું છે.) આ લગ્ન સહિત વર્ષ દરમ્યાન ચાલતી જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિમાં મહેમાન તરીકે આવતા વીવીઆઇપી લોકોને ઉતારો આપવા માટે 6 એકરના ફાર્મમાં બંગલાઓ તૈયાર કરવાનો મહેશભાઈનું આયોજન હતું.

પરંતુ એઇડ્સગ્રસ્ત બાળકોની આ પીડાની એમને જાણ થઈ એટલે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એમણે નિર્ણય કર્યો કે આ બાળકોના પિતા બનીને મારે એમને પ્રેમ આપવો છે. પોતાના 6 એકરના ક્રીમ લોકેશન પરના ફાર્મમાં એઇડ્સગ્રસ્ત નાની દીકરીઓ માટેની તમામ સુવિધાઓ ઉભી કરવાનો એણે સંકલ્પ કર્યો. વીવીઆઈપી મહેમાનોને તો બીજે ગમે ત્યાં રાખી શકાશે પણ આવા બાળકોને વીવીઆઈપી કરતા વધુ સારી સગવડો સાથેનું આલિશાન સંકુલ તૈયાર થયું જેને “જનની ધામ” નામ આપ્યું.
આજે જનનીધામમાં ઘણી એચઆઇવી ગ્રસ્ત બાળકીઓ રહે છે.મહેશભાઈએ આ દીકરીઓ માટે માત્ર રહેવા જમવાની જ વ્યવસ્થા નથી કરી પણ એક પિતાની જેમ દર અઠવાડિયે એમને મળવા જાય અને આખો દિવસ એમની સાથે વિતાવે. દીકરીઓને સારામાં સારા કપડાં લઈ આપવાના, ફરવા માટે લઇ જવાની, હોટેલમાં જમવા માટે લઇ જવાની, ફિલ્મ જોવા માટે લઈ જવાની એમ એની દરેક ઈચ્છા દિલથી પૂરી કરવાની.
આ દીકરીઓ શારિરીક રીતે સ્વસ્થ થાય તે માટે ડોકટર સહિતની તમામ વ્યવસ્થા રાખી છે અને માનસિક રીતે સ્વસ્થ થાય તે માટે એના અભ્યાસની વ્યવસ્થા પણ કરી છે. વસંતભાઈ ગજેરાની સ્કુલ ‘વાત્સલ્ય ધામ’ (વાત્સલ્ય ધામ આદિવાસી બાળકો માટે રહેવા જમવાની સગવડ સાથે વિનામૂલ્યે ચાલતી શાળા છે.)માં દીકરીઓ ભણવા માટે જાય છે.
સંપત્તિ તો ઘણા પાસે કોઈ છે પણ મહેશભાઈ જેવા કોઈ વિરલા પાસે લક્ષ્મી કે મહાલક્ષ્મી હોય છે.
By Shailesh Sagpariya
આપણે ત્યાં ઘણા એવા લોકો છે કે જે પોતાની પાસે પૈસા હોવાનો સારો ઉપયોગ કરે છે, તેઓ સમાજને ઉપયોગી થાય એવું કામ કરતા રહે છે. આવા જ એક વ્યક્તિ એટલે સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી, વર્ષ 2012થી દર વર્ષે પિતા વગરની જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ મહેશભાઈ સવાણીએ આઠમી વાર જરૂરિયાતમંદ દીકરીઓ માટે આઠમા લગ્નોત્સવનું આયોજન કર્યું છે. આ વર્ષે આ લગ્નોત્સવમાં કિરણ જેમ્સનો લખાણી પરિવાર પણ સહભાગી થયો છે.
આ વર્ષે આયોજિત કરનાર લગ્નોત્સવનું નામ ‘પાનેતર’ આપવામાં આવ્યું છે. આ લગ્નોત્સવ સુરતમાં પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ કેમ્પસમાં બે દિવસ યોજાશે. જે 21 અને 22 ડિસેમ્બર 2019 ના રોજ આયોજિત કરવામાં આવ્યા છે, જેમાં 275થી વધુ દીકરીઓ પરણશે. પહેલા દિવસે 21 ડિસેમ્બરે 135 દીકરીઓ અને બીજા દિવસે 22 ડિસેમ્બરે 135 દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાશે. મહેશ સવાણીના દીકરા મોહિતની સગાઈ આ જ લગ્નોત્સવમાં કરવામાં આવશે.
આ વખતે લગ્નોત્સવમાં 270 દીકરીઓમાં 5 મુસ્લિમ, 39 આદિવાસી સમાજની દીકરીઓ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, કર્ણાટક તેલંગાણા, નેપાળની દીકરીનો પણ સમાવેશ કરાયો છે. આ સમૂહલગ્નમાં દેશભરમાંથી આઇપીએસ અધિકારીઓ રાજકીય હસ્તીઓ અને મહાનુભાવો આવી કન્યાદાન કરશે. આ લગ્નોત્સવમાં એક તરફ વૈદિક વિધિથી લગ્ન થતા હશે તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓના નિકાહ પઢાતા હશે. આ લગ્નોત્સવમાં કોઇપણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના વિધવા બહેનોની દીકરીઓને પરણાવવામાં આવે છે.
સુરતમાં લગ્નના બે દિવસ પહેલા 275 દીકરીઓએ એક સાથે મહેંદી મૂકી હતી. સુરતના અબ્રામાની નજીક ‘રઘુવીર વાડી’માં મહેંદી રસમ યોજાઇ હતી. જેમાં દુલ્હનની સાથે એમની બહેન અને બીજા પરિવારજનો મળી 2500થી વધુ દીકરીઓ મહેંદી મુકાવી હતી.

પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવતા મહેશભાઈ છેલ્લાં 8 વર્ષથી પિતા વગરની જરૂરિયાતમંદ દીકરીઓને કરિયાવર આપીને માનભેર સાસરે વળાવે છે. અત્યાર સુધીમાં તેમણે 2700 દીકરીઓને સાસરે વળાવી છે. સુરતના હીરા વેપારી મહેશ સવાણી દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી સેંકડો દીકરીઓના ધામધૂમથી લગ્ન કરવા જઈ રહ્યા છે. સાથે જ લગ્નગ્રંથિથી જોડાનાર તમામ જમાઈઓને હેલમેટ ભેટ આપવામાં આવશે. તમામ દીકરી અને જમાઈઓને માર્ગ સલામતી સુરક્ષા અને ટ્રાફિક નિયમ પાલન માટે પ્રતિજ્ઞા લેવડાવાશે.

તેઓ કઈ રીતે દીકરીઓની પસંદગી કરે એ અંગે મહેશભાઈએ જણાવ્યું હતું કે તેઓ 500 ફોર્મ બહાર પાડે છે જેમાંથી 300 દીકરીઓનું સિલેક્શન કરે છે, જેમાંથી જે દીકરીના ઘરમાં ઘરમાં માતા-પિતા કે ભાઈ કોઈ જ ના હોય એવી દીકરીઓને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે. આ વર્ષે એવી 102 દીકરીઓના લગ્ન કરવાના છે. આ પછી એવી દીકરીઓને પ્રાયોરિટી આપવામાં આવે છે કે જેના ઘરમાં પિતા અને ભાઈ ન હોય અને માતા તેમનો ઉછેર કરતી હોય અને એ પછી ત્રીજી પ્રાયોરિટી એ દીકરીઓને આપવામાં આવે છે કે જેના પિતા ન હોય અને ભાઈ તેના કરતા નાનો હોય.

મહેશભાઈ અનુસાર, તેઓ દીકરીઓના લગ્ન જ નથી કરાવતા પણ એ પછીની જવાબદારી પણ પુરી રીતે નિભાવે છે. તેઓ દીકરીના લગ્ન પછી પણ દીકરીના સુખ-દુ:ખમાં સહભાગી થાય છે અને અત્યાર સુધીમાં પરણાવેલી દીકરીઓના ઘરે પિતા તરીકે હાજરી આપતા હોય છે. આ દીકરીઓ પણ તેમને કહેતી હોય છે કે ‘પપ્પા અમને અમારા જૂના પપ્પાની યાદ નથી આવતી, તમે જ અમારા પપ્પા છો’ આનાથી મોટી વિશેષ ખુશી બીજી કોઈ ના હોઈ શકે, અને અત્યારના સમયમાં કે જ્યા દીકરીઓ સુરક્ષિત નથી રહી, ત્યારે આનાથી મોટી બીજી કોઈ જીત પણ ન હોઈ શકે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.