દિગ્ગજ એક્ટ્રેસ ભૈરવી વૈદ્યનું 67 વર્ષની ઉંમરમાં નિધન, કેન્સરથી હતી પીડિત, સલમાન ખાન અને એશ્વર્યા રાય સાથે ફિલ્મોમાં કર્યુ હતુ કામ
Veteran actor Bhairavi Vaidya : મનોરંજન જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જાણિતી એક્ટ્રેસ ભૈરવી વૈદ્યનું નિધન થયુ છે. 67 વર્ષની એક્ટ્રેસના મોતની ખબરને કો-સ્ટાર સુરભી દાસે કંફર્મ કરી છે. બંનેએ સીરિયલ ‘નીમા ડેન્જોંગપા’માં સાથે કામ કર્યુ હતુ. સુરભિએ ભૈરવી વૈદ્યની મોત પર દુખ જતાવ્યુ છે. અભિનેત્રીના મોતની ખબરે શોની સ્ટારકાસ્ટને સ્તબ્ધ કરી દીધી હતી. બધા જ ભૈરવીને યાદ કરી ઇમોશનલ થઇ ગયા હતા.
‘તાલ’ ફેમ એક્ટ્રેસ ભૈરવી વૈદ્યનું નિધન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૈરવી ઘણા સમયથી બીમાર હતી. ચર્ચા છે કે તે ઘણા મહિનાઓથી કેન્સર સામે લડી રહી હતી. ભૈરવી છેલ્લા 45 વર્ષથી એક્ટિંગ ફિલ્ડમાં કામ કરી રહી હતી. તે ઘણી ગુજરાતી, હિન્દી ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળી હતી. ચાહકોએ તેને છેલ્લી વખત સીરિયલ ‘નીમા ડેન્જોંગપા’માં જોઇ હતી. ભૈરવીએ તેના અલગ અલગ પાત્રોમાં એવી છાપ છોડી હતી કે તેને લોકો આજે પણ યાદ કરે છે.
કેન્સરથી હતી પીડિત
દિગ્ગજ અભિનેત્રીએ ઐશ્વર્યા રાય, અનિલ કપૂર અને અક્ષય ખન્ના સ્ટારર ફિલ્મ ‘તાલ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જેમાં તેના કામની ખૂબ પ્રશંસા થઈ હતી. ભૈરવીએ સલમાન ખાનની ફિલ્મ ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તે એક પ્રખ્યાત થિયેટર કલાકાર હતી. તે ઘણા નાટકોનો ભાગ હતી.
કો-સ્ટાર્સે વ્યક્ત કર્યો શોક
ટીવી શો ‘નીમા ડેન્જોંગપા’માં ભૈરવી વૈદ્ય સાથે કામ કરનાર નિશી સક્સેના અને સુરભી દાસે ભૈરવી વૈદ્યના નિધન પર શોક વ્યક્ત કર્યો. નિશી સક્સેનાએ જણાવ્યું કે તે ભૈરવી વૈદ્યના નિધનથી આઘાતમાં છે. આ શોમાં ભૈરવીએ તેની દાદીની ભૂમિકા ભજવી હતી. બંને એકસાથે કેબમાં શૂટિંગ કરવા જતા હતા. નિશી સક્સેના હજુ પણ માની નથી શકતી કે ભૈરવી વૈદ્ય હવે આ દુનિયામાં નથી.
સુરભી દાસને પણ ઊંડો આઘાત લાગ્યો છે. સુરભી દાસે કહ્યું કે તે ભૈરવી વૈદ્ય સાથે વિતાવેલી સુંદર પળોને યાદ કરે છે. તેની સાથે શૂટિંગ કરવામાં ખૂબ જ મજા આવી. તે ખૂબ જ દુ:ખની વાત છે કે તે હવે આપણી વચ્ચે નથી. ભૈરવી વૈદ્યએ મોટાભાગની ફિલ્મો અને શોમાં માતાની ભૂમિકા ભજવી હતી. તેણે પોતાના અભિનયથી મજબૂત છાપ છોડી.