સ્ત્રી આપણા સમાજમાં લક્ષ્મી તરીકે પૂજનીય છે. હંમેશા આપણને ધાર્મિક ગ્રંથો અને વેદ-પુરાણો દ્વારા શીખવવામાં આવ્યું છે કે સ્ત્રીનું હંમેશા સન્માન કરવું જોઈએ. આપણા ધાર્મિક શ્લોકમાં પણ કહેવાયું છે કે “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:”. જે સ્થાન ઉપર સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં જ દેવતાઓનો વાસ હોય છે.

પરંતુ સમાજમાં આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે સ્ત્રીઓને સન્માન નથી મળતું, સ્ત્રી ઘણા ઘરમાં દુઃખી થતી હોય છે, શારીરિક પીડાનો ભોગ બનતી હોય છે અને આવા ઘરમાં ક્યારેય સુખ શાંતિ પણ વ્યાપેલી નથી હોતી તેની પાછળના કારણો પણ આપણે સૌ જાણીએ છીએ, જે ઘરમાં સ્ત્રીને સન્માન અને સુખ આપવામાં નથી આવતું એવા ઘરમાં ક્યારેય બરકત આવતી જ નથી. એ ઘરનો પુરુષ પણ હંમેશા દુઃખી અને ધન ધાન્યથી વંચિત રહેતો હોય છે.

તુલસીદાસ રચિત રામ ચરિત માનસમાં પણ આ સંદર્ભે જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં ચાર પ્રકારની સ્ત્રીઓને પીડા આપનાર અને સન્માન ના આપનાર પુરુષ હંમેશા દુઃખી થતો હોય છે એવું જણાવવામાં આવ્યું છે તો ચાલો જોઈએ એવી કઈ ચાર સ્ત્રીઓના સન્માનની વાત રામ ચરિત માનસમાં કરવામાં આવી છે.

ઘરની વહુ:
આપણા દેશમાં ઘરમાં નવી આવેલી વહુને લક્ષ્મી માનવામાં આવે છે. તેનો ગૃહ પ્રેવશ કરાવતી વખતે કંકુપગલા પણ ઘરમાં લેવામાં આવે છે. પરંતુ સમય જતા ઘણા ઘરોમાં તેને સન્માન મળતું નથી, જેના કારણે ઘરમાં દરિદ્રતા આવવાની શરૂ થઇ જાય છે.પોતાનું ઘર છોડીને પારકા ઘરને જે સ્ત્રી પોતાનું કરવા આવી છે એવી સ્ત્રીને જો કોઈ પુરુષ દુઃખી કરે છે, તેનું સન્માન નથી કરતો તે હંમેશા દુઃખી થાય છે, તે ક્યારેય ખુશ નથી રહેતો અને તેના જીવનમાં હંમેશા મુશ્કેલીઓ આવ્યા કરે છે. એવું રામ ચરિત માનસમાં જણાવવામાં આવ્યું છે.

ભાઈની પત્ની:
આપણે ત્યાં ભાભીને મા સમાન માનવામાં આવે છે. પરંતુ આજે સમાજમાં લોકોની દૃષ્ટિ બદલાઈ ગઈ છે. રામ ચરતી માનસમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાઈને પત્નીને હંમેશા મા જેવું સન્માન આપવું જયારે નાનાભાઈની પત્નીને દીકરીની જેમ સન્માન આપવું જોઈએ, સન્માન ના આપનાર પુરુષને ખુબ જ ખરાબ પરિણામ ભોગવવું પડે છે.

બહેન:
દરેક ભાઈનું કર્તવ્ય હોય છે કે તે પોતાની બહેનની હંમેશા રક્ષા કરે પરંતુ જે પુરુષો બહેનને યોગ્ય સન્માન નથી આપતા તેને પણ દુઃખોનો સામનો કરવો પડે છે. સ્ત્રીના રૂપમાં રહેલી બહેન કોઈની પણ હોય તેને હંમેશા સન્માન આપવું જોઈએ અને તેની રક્ષા પણ કરવી જોઈએ. બહેનને સન્માન ના આપનારા પુરુષોને પણ ખરાબ પરિણામ ભોગવવા પડે છે તેમજ એમને ઈશ્વર પણ માફ નથી કરતા.

ઘરની દીકરી:
ઘરમાં રહેલી દીકરી હંમેશા સન્માન અને પ્રેમની હકદાર હોય છે, પરંતુ ઘણા ઘરોમાં ભાઈ દ્વારા કે પિતા દ્વારા દીકરી ઉપર પણ અત્યાચાર કરવામાં આવતા હોય છે. જે ઘરમાં દીકરી ખુશ નથી રહી શકતી એ ઘરમાં પણ ઈશ્વર ક્યારેય સુખ સમૃદ્ધિ વરસાવતા નથી, ઉલ્ટાનું ભગવાનનો પ્રકોપ એવા ઘરમાં વરસે છે અને એ ઘરના પુરુષ હંમેશા દુઃખી અને મુશ્કેલીઓથી ઘેરાયેલ જ રહેતા હોય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.