ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022માં ગઈકાલે 13 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થઈ હતી. મુંબઈની ટીમ પોતાની પ્રથમ ચાર મેચ હારીને આવ્યું હતું જેના કારણે આ વખતે તે જીત માટે તમામ મહેનત કરી રહ્યું હતું. પંજાબ કિંગ્સે આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને ઝડપી શરૂઆત કરી હતી. કેપ્ટન મયંક અગ્રવાલે આ મેચમાં તોફાની ફિફ્ટી બનાવીને મુંબઈને બેકફૂટ પર લાવી દીધું હતું.
પરંતુ જ્યારે મયંક અગ્રવાલ 52 રન બનાવીને આઉટ થયો ત્યારે મુંબઈની ટીમમાં જીવ આવ્યો હતો. એટલું જ નહીં સ્ટેન્ડમાં હાજર મુંબઈ ઈન્ડિયન્સની માલકીન નીતા અંબાણીએ પણ ઉભા થઈને તાળીઓ પાડી હતી. નીતા અંબાણી સાથે તેમના પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા અંબાણી પણ હતા.
સતત ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહેલા મયંક અગ્રવાલને મુરુગન અશ્વિને આઉટ કર્યો હતો. હવામાં શોટ મારવાના ચક્કરમાં મયંક બાઉન્ડ્રી પર હાજર સૂર્યકુમાર યાદવને પોતાનો કેચ પકડાવી બેઠો હતો. મયંકની વિકેટ પડતાની સાથે જ અંબાણી પરિવાર પોતાની સીટ પરથી ઉઠ્યો અને ઝૂમવા લાગી ગયો. નીતા અંબાણી અને તેમનો પરિવાર તાળીઓ વગાડવા લાગ્યા હતા.
આ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જયદેવ ઉનડકટે ઈનિંગની 13મી ઓવર ફેંકી હતી. આ ઓવરના પાંચમા બોલ પર જૉની બેરસ્ટો ડૅજ કરીને ક્લીન બોલ્ડ થયો હતો. બેયરસ્ટો આ મેચમાં માત્ર 12 રન બનાવી શક્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની માલકીન નીતા અંબાણી બેયરસ્ટોને આઉટ થતાં જ ખુશીથી ઝુમતા જોવા મળ્યા હતા. જ્યારે જયદેવ ઉનડકટે વિકેટ લીધી ત્યારે નીતા અંબાણી તાળીઓ પાડતા જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે આ પહેલા મેચમાં પણ અંબાણી પરિવારના કેટલાક સભ્યો મેદાનમાં હાજર રહ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સને આ સિઝનમાં અત્યાર સુધી એક પણ જીત મળી નથી. મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં પોતાની પ્રથમ પાંચ મેચ હારી ચૂકી હતી અને ટીમ જીતની રાહ જોઈ રહી છે.