નવરાત્રીમાં ગરબાની મોજ વચ્ચે વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, 12 ઓક્ટોબર સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલીમાં છૂટોછવાયા વરસાદની આગાહી અંબાલાલે કરી છે.

નવરાત્રી પૂર્ણ થવાના આરે છે અને આ વચ્ચે વરસાદની આગાહી સામે આવતા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. અંબાલાલ અનુસાર, દક્ષિણ ગુજરાતના સુરત, વડોદરા તેમજ બોડેલીમાં વરસાદ વરસશે. જ્યારે આહવા, ડાંગ વલસાડ અને નવસારીમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે. આ સાથે પંચમહાલના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની પણ અંબાલાલે શક્યતા વ્યક્ત કરી છે.

મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી અંબાલાલે કરી છે. 14થી22 ઓક્ટોબર દરમિયાન દરિયામાં તોફાન બનવાની શક્યતા છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અંબાલાલ સિવાય હવામાન ખાતાએ પણ આગાહી કરી છે, જે અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ અને નર્મદામાં વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે.
