આપણા દેશમાં ઘણા લોકો એવા હોય છે જે નફરતની વાતો કરતા હોય છે અને લોકોના મનમાં પણ નફરત ફેલાવતા હોય છે. ઉદયપુરમાં થયેલા કનૈયાલાલના હત્યાકાંડ હોય કે બીજી એવી ઘણી ઘટનાઓ. લોકો આવી તકોનો લાભ લઈને નફરત ફેલાવતા જોવા મળે છે, ત્યારે હાલમાં કે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે નફરતની આવી વાતો કરતા લોકો માટે એક તમાચા રૂપ બની જશે.
બિહારની રાજધાની પટનામાં હિંદુ-મુસ્લિમ એકતાની એવી તસવીર અને કહાની સામે આવી છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. રાષ્ટ્રીય એકતાનો પરિચય આપતા રાજા બજારના એક મુસ્લિમ પરિવારે અનોખો દાખલો બેસાડ્યો છે. આ પરિવારના લોકો અંતિમયાત્રામાં રામ નામ સત્ય હૈ બોલતા જોવા મળ્યા હતા. જે સામાન્ય રીતે હિન્દુ લોકોની સ્મશાનયાત્રામાં બોલાય છે.
પટનાના આ મુસ્લિમ પરિવારે અંતિમ સંસ્કારમાં ન માત્ર રામ નામ સત્ય કહ્યું પરંતુ એક હિંદુ વ્યક્તિની અર્થીને પણ કાંધો આપ્યો અને સંપૂર્ણ વિધિ સાથે અંતિમ સંસ્કાર પણ કર્યા. હકીકતમાં મૃત્યુ પામનાર વ્યક્તિ લગભગ 25 વર્ષથી આ મુસ્લિમ પરિવારના સભ્યની જેમ જીવતો હતો. તેમના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર હિન્દુ રીતરિવાજો અનુસાર કરવામાં આવ્યા હતા.
પટનાના સમનપુરા વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ પરિવારે અર્થીને શણગારી, કાંધો આપ્યો અને પછી અંતિમ સંસ્કાર માટે “રામ નામ સત્ય હે” બોલતા હિન્દુ વ્યક્તિને પટનાના ગંગા ઘાટ પર લઈ ગયા. રાજાબજારના સમનપુરામાં રહેતા મોહમ્મદ અરમાનના પરિવારે ઘણા વર્ષો પહેલા રામદેવ નામના હિન્દુ વ્યક્તિને નોકરી આપ્યા બાદ પરિવાર સાથે રાખ્યો હતો.
View this post on Instagram
રામદેવ લગભગ 75 વર્ષના હતા અને તેમનું અવસાન થયું. મૃતકને આ દુનિયામાં કોઈ સહારો ન હતો, તો આ મુસ્લિમ પરિવારે પણ પોતાના ઘરમાં રાખીને તેમને ટેકો આપ્યો હતો. હવે એ જ મુસ્લિમ સમાજના એક પરિવારે જેમણે રામદેવને ટેકો આપ્યો હતો, તેમના નિધન પર હિંદુ રીતિ-રિવાજ મુજબ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.