NRI સાથે દીકરીના લગ્ન કરાવતા લોકો સાવધાન ! જુઓ અમેરિકામાં કેવી બેરહેમીથી દીકરીને માર મારતો હતો પતિ, કંટાળીને મોતને કર્યું વહાલું

ન્યુયોર્કમાં મહિલાએ હ્રદયદ્રાવક વિડીયો બનાવી આત્મહત્યા કરી લીધી, પુત્રીઓને જન્મ આપ્યો તો પતિ આચરતો આવી હેવાનિયત….

આપણા દેશમાં મહિલાઓ ઉપર સતત અત્યાચારની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ઘણા લોકો પોતાની દીકરી અને પરિવારની જિંદગી સારી બની જાય તે માટે ભારતીય મૂળના વિદેશમાં સ્થાયી થયેલા લોકો સાથે દીકરીના લગ્ન કરાવતા હોય છે, પરંતુ દીકરી જયારે વિદેશ જાય છે ત્યારે તેને ત્યાં પણ અત્યાચારોનો સામનો કરવો પડતો હોય છે અને ત્યાં તેની સાથે કોઈ ના હોવાના કારણે મૂંગા મોઢે સહન કરતી રહે છે, ત્યારે હાલ એક ચોંકાવી દેનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જ્યાં વિદેશમાં રહેતી ભારતીય દીકરીએ પતિના ત્રાસથી મોતને વહાલું કરી લીધું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ન્યુ યોર્કમાં 30 વર્ષીય ભારતીય મૂળની મહિલાએ ઘરેલુ હિંસાથી પરેશાન થઈને કથિત રીતે આત્મહત્યા કરી હતી. મહિલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલાએ આત્મહત્યા કરતા પહેલા આ વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે મોત માટે તેના પતિ અને સાસરિયાઓને જવાબદાર ઠેરવ્યા છે. પોતાની આપવીતીનું વર્ણન કરતી વખતે મહિલાએ વીડિયોમાં કહ્યું કે તેનો પતિ તેને રોજ માર મારે છે. તેના પતિ અને સાસરિયાઓએ તેને મરવા માટે દબાણ કર્યું.

મહિલાની ઓળખ ઉત્તર પ્રદેશના બિજનૌરની રહેવાસી મનદીપ કૌર તરીકે થઈ છે. તેના લગ્ન 2015માં રણજોધબીર સિંહ સંધુ સાથે થયા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ બંને ન્યૂયોર્ક રહેવા ગયા અને ત્યાં જ સ્થાયી થયા.  મનદીપે વીડિયોમાં આરોપ લગાવ્યો છે કે તેનો પતિ લગ્ન બાદથી જ તેને મારતો હતો, પરંતુ તેને લાગ્યું કે ન્યૂયોર્ક શિફ્ટ થયા બાદ બધું બદલાઈ જશે. જો કે, આવું બન્યું ન હતું.

મનદીપ કહે છે કે, અહીં આવ્યા પછી તેણે દરરોજ દારૂ પીને તેને મારવાનું શરૂ કર્યું. વીડિયોમાં મનદીપ કહે છે કે, હું છેલ્લા આઠ વર્ષથી આ બધું સહન કરી રહી છું એ વિચારીને કે તે એક દિવસ સુધરી જશે, પરંતુ એવું ન થયું. તેણે મને આઠ વર્ષ સુધી માર માર્યો. મને ત્રાસ આપ્યો. હું તેને હવે સહન કરી નથી શકતી. વીડિયોમાં મનદીપે તેના પતિનું અફેર હોવાનો આરોપ પણ લગાવ્યો છે. તે પંજાબીમાં કહે છે કે તેના પતિનું અન્ય મહિલાઓ સાથે પણ અફેર છે. તે તેમની સાથે રહે છે અને જ્યારે તે પ્રતિકાર કરે છે ત્યારે તેને માર મારે છે.

મનદીપે કહ્યું, પરિવારના સભ્યોએ અમારી વચ્ચે સમાધાન માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ તે સુધર્યો નહીં. મનદીપે આરોપ લગાવ્યો કે તેના પતિએ તેનું અપહરણ કર્યું અને ત્રણ દિવસ સુધી મારપીટ કરી. આ પછી તેના પિતાએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું. જોકે, માફી માંગવા પર મનદીપે તેને માફ કરી દીધો હતો. મનદીપને બે દીકરીઓ પણ છે. એક છ વર્ષની અને બીજો ચાર વર્ષની છે.

મનદીપની બહેન કુલદીપે આરોપ લગાવ્યો કે જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે મનદીપનો પતિ રણજોધબીર તેને મારતો હતો. તેને મનદીપ પાસેથી દહેજમાં 50 લાખ રૂપિયા અને એક દીકરો જોઈતો હતો. આ મામલામાં મનદીપના પિતાએ બિજનૌરના નજીબાબાદ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. સાથે જ ન્યૂયોર્ક પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.

Niraj Patel