છેલ્લા કેટલાય સમયથી સમગ્ર દેશ સહીત ગુજરાતમાં પણ લવ-જેહાદનો મુદ્દો ગરમાઈ રહ્યો છે, ત્યારે આજે ગુજરાત વિધાનસભામાં હયાત કાયદો ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ સુધારક વિધેયક રજૂ કરવામાં આવ્યું. જેમાં લવ જેહાદ મામલે પણ કડક કાર્યવાહી અમલ થશે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
તો આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા 1 કલાક અને 11 મિનિટ સુધી સદનમાં બોલ્યા હતા. તેમને જણાવ્યું કે, “મારી જિંદગીનું મોટામાં મોટું કામ થયું હોય હોવાનું મને આજે લાગ્યું છે. મારા જીવનમાં ઘણા અગત્યના કામો કરવાનો મને મોકો મળ્યો છે. આજે મારા જીવનનું હુ એક મહત્વનું કામ કરવા જઇ રહ્યો છું. આપણી દીકરીઓ પારકી થાપણ કહેવાય, તેને જેહાદીનાં હાથમાં ન જવા દેવાય.”
પ્રદીપ સિંહ જાડેજાએ આગળ જણાવ્યું કે, “દીકરીને હુન્દુ સમાજ કાળજાના કટકા સમાન ગણે છે. ગૌ હત્યા પ્રત્યેનો કાયદો પણ અગાઉ લવાયો છે. દીકરીઓને કસાઈઓના હાથમાં જતી બચાવવા માટે ગૃહમાં કાયદો લાવ્યા છીએ.”
તેમણે વધુમાં કહ્યું કે “કેટલાક રાજ્યોમાં નિકાહ માટેનું ધર્માંતરણ બિનજામીન પાત્ર ગુનો છે. હિંદુ એ ધર્મ નહીં પણ સંસ્કૃતિ છે, જીવન જીવવાની પદ્ધતિ છે. આપણી સંસ્કૃતિનું જતન કરવાવાળા રહ્યા છીએ. ભારતને આંતરિક રીતે ખોખલો કરવાની માનસિકતાવાળા લોકો આપણી સાંસ્કૃતિક ધરોહર પર હુમલો કરે છે.”
પ્રદીપ સિંહે વધુમાં એમ પણ જણાવ્યું કે માત્ર ભારત જ નહિ દુનિયાના બીજા દેશો પણ લવ જેહાદથી ત્રસ્ત છે. તેમને એમ પણ જણાવ્યું કે પ્રેમ લગ્નો સામે તેમને કોઈ વિરોધ નથી, પરંતુ ધર્માંતરણના આશયથી પ્રેમના નાટક સામે વિરોધ છે.
લવ જેહાદને લઈને દાખલ કરવામાં આવેલા નવા કાયદાને લઈને પ્રદીપ સિંહે જણાવ્યું હતું કે, “નવા કાયદામાં ફરિયાદ માત્ર પીડિત નહિ, પંરતુ પરિવારજનો પણ કરી શકશે. પીડિત સાથે લોહીના સંબંધ ધરાવનારા વ્યક્તિઓ પણ ફરિયાદ કરી શકશે. ડીવાયએસપી કક્ષાના કે તેની ઉપરના પોલીસ અધિકારી જ તપાસ કરી શકશે. ત્યારે હવે ગુજરાતમાં આવા કાયદા અંતર્ગત લગ્ન રદ કરવામાં આવશે.”