ઘણીવાર એવું બનતુ હોય છે કે, વાઘ અથવા તો સિંહ સામાન્ય પ્રજાની વચ્ચે પહોંચી જતા હોય છે અને આ દરમિયાન લોકો તેની તસવીરો અને વીડિયો પણ કેમેરામાં કેદ કરી લેતા હોય છે. હાલ એક એવી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેમાં એવું જોવા મળી રહ્યુ છે કે, એક સિંહ ચારેબાજુથી ઘેરાયેલો છે અને આ દરમિયાન લોકો વિવેક ભૂલી અને તેને કેમેરામાં કેદ કરવા લાગી જાય છે. જો કે, આ તસવીર વાયરલ થતાની સાથે જ વન્યજીવ પ્રેમીઓનું લોહી ઉકળી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, વાઇલ્ડલાઇફ એક્ટિવિસ્ટોનું કહેવુ છે કે વન વિભાગ દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે દરેક જીપમાં ટ્રેકર લગાવવામાં આવેલા છે અને પ્રવાસીઓ સિંહ પર હાવી ન થાય તે માટે દરેક વાહનમાં ગાઇડ પણ આપવામાં આવતા હોય છે. જો કે, આ તસવીર જોતા આ બાબત ખરેખર ખોટી સાબિત થતી હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે તસવીરમાં જોવા મળી રહ્યુ છે કે, એક સિંહ ચારે બાજુથી જીપ અને પ્રવાસીઓથી ઘેરાયેલો છે.તે લોકો તેની સાથે સેલ્ફી લઇ રહ્યા છે અને તેને પોતાના કેમેરામાં કેદ કરવામા લાગી ગયા છે.
જણાવી દઇએ કે, આ તસવીરને ટ્વીટર પર જયદેવ ધાંધલે દ્વારા શેર કરવામાં આવી છે . વન વિભાગના પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર શ્યામલ ટિકેદારને તેમણે રજૂઆત કરી છે અને આ રજૂઆત લેખિત કરવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યુ છે કે, જંગલના સિંહની આ પરિસ્થિતિ માટે જે જવાબદાર છે તે અધિકારીઓ, ડ્રાઇવર અને ગાઇડ વિરૂદ્ધ પગલા લેવામાં આવે. જયદેવ ધાંધલે દ્વારા ઇ-મેઇલમાં લખવામાં આવ્યુ છે કે, સફારી દરમિયાન જીપ ફાળવવામાં આવેલા રસ્તા પર જ જાય અને કોઈપણ ભોગે લાંબા રસ્તા પસંદ ના કરે તે જોવાની જવાબદારી અધિકારીઓની છે. જો કે, આ તસવીરમાં જોતા એવું લાગી રહ્યુ છે કે, ઘણા બધાં વાહનો એક જ રૂટ પર હતા.
I have emailed this complaint to the Authorities in this regard pic.twitter.com/llYLfg9qUa
— Jaidev Dhadhal (@jaidev_ntp) November 17, 2021