90ના દાયકાનો સમય લગભગ બધાને જ યાદ હશે કે જયારે મોટાભાગના ઘરે માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા અને રવિવારની સવારે ઉઠીને તરત જ નહાઈ ધોઈને રામાનંદ સાગરની ધાર્મિક સીરીયલ શ્રી કૃષ્ણા જોવા માટે બધા જ ટીવી સામે ગોઠવાઈ જતા.

રામાનંદ સાગરના પ્રખ્યાત શો ‘શ્રી કૃષ્ણા’માં કૃષ્ણની ભૂમિકા ભજવનારા અભિનેતા સર્વદમન ડી બેનર્જીએ તેમની ભૂમિકા એટલી સારી રીતે ભજવી હતી કે લોકો તેમને વાસ્તવિક જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણ માનવા લાગ્યા હતા, પૂજા સમયે આંખો બંધ કરીને પણ બધાને તેઓ જ દેખાતા હતા, અને તેઓ જ્યા જતા ત્યાં લોકો તેમના પગે લાગવા લાગ્યા હતા. તે સિરિયલમાં તેનું સ્મિત કોઈ ભૂલી શકે નહીં. સર્વદમન બેનર્જીએ કૃષ્ણના પાત્રથી ઘણી લોકપ્રિયતા મેળવી.

શ્રી કૃષ્ણા સીરિયલમાં શ્રી કૃષ્ણની લીલા જોનારા અને કૃષ્ણની ભૂમિકા નિભાવનારા સર્વદમન ડી બેનર્જીએ તેમના મદમસ્ત અભિનયથી દર્શકોનું મન જીતી લીધું હતું. સર્વદમન ડી બેનર્જીએ કૃષ્ણના પાત્રને પોતાની અંદર એવી રીતે વસાવી લીધું હતું કે જાણે ભગવાને કલિયુગમાં અવતાર લીધો હોય.

આ પછી તેમને આ પ્રકારના જ શો ઓફર થયા જેમાં તે દેખાય, જેમ કે ‘અર્જુન’, ‘જય ગંગા મૈયા’ અને ‘ઓમ નમ: શિવાય’. સર્વદમન ડી બેનર્જીએ આ બધા શોમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. આ ધાર્મિક સિરિયલ ઉપરાંત સર્વદમને આદિ શંકરાચાર્ય, દત્તાત્રેય અને સ્વામી વિવેકાનંદ જેવા કેટલાક આધ્યાત્મિક પ્રકારનાં પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું. શંકરાચાર્યને 1983માં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

તેઓ છેલ્લે સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ એમએસ ધોનીમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમણે ધોનીના કોચ ચંચલ ભટ્ટાચાર્યની ભૂમિકા ભજવી હતી. પરંતુ કૃષ્ણની આવી તેજસ્વી ભૂમિકા ભજવનાર સર્વદમન હવે આ ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી દૂર રહે છે, પણ ક્યાં રહે છે અને શું કરે છે એ અમે તમને જણાવીએ –

સર્વદમન ડી બેનર્જી આજકાલ નદીઓ અને પર્વતોની વચ્ચે સ્વર્ગ જેવા માહોલમાં ઋષિકેશમાં પોતાનું મેડિટેશન સેન્ટર ચલાવે છે, દેશ-વિદેશથી આવતા લોકો અહીં યોગ અને ધ્યાનનો ફાયદો ઉઠાવે છે. આ સિવાય તે પાંખ નામનું એક એનજીઓ પણ સંભાળે છે. જ્યાં તે આશરે 200 બાળકોના ભણવા-લખવા પર ધ્યાન આપે છે.

સાથે જ 50 મહિલાઓને યોગ્ય રીતે જીવન જીવવા માટે યોગ્ય બનાવવા માટે, તેઓ કામની ટ્રેનિંગ અપાવે છે. સર્વદમન ડી બેનર્જી હવે સંપૂર્ણપણે બદલાઈ ગયા છે અને ગ્લેમરની દુનિયાથી દૂર જ રહે છે.

ફેસબુક પર, તે તેમના કામો વિશે જણાવતા રહે છે. ગ્લેમરની દુનિયાને છોડીને આવા શાંત સ્થળે સ્થાયી થવાનો અને કામ કરવાનો વિચાર તેના મગજમાં કેવી રીતે આવ્યો એ વિશે એક ઇન્ટરવ્યૂમાં તેમને જણાવ્યું હતું કે ગ્લેમરની દુનિયામાં કોઈ ગ્લેમર નથી, માત્ર દર્શકોને જ તેમાં ગ્લેમર દેખાય છે.

‘કૃષ્ણા’ કરતી વખતે મેં નક્કી કર્યું હતું કે હું 45-47 વર્ષની વય સુધી કામ કરીશ અને તે પછી હું જીવન સાથે જોડાવા માટે કંઈક કરીશ. બસ પછી મને મેડિટેશન મળ્યું અને હવે હું વર્ષોથી એ જ કરું છું.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.