ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માતા હીરાબાનો આજે 100મો જન્મદિવસ છે, ત્યારે આજે વહેલી સવારે પીએમ મોદી માતાના આશીર્વાદ લેવા માટે ઘરે પહોંચ્યા હતા. તેઓએ માતાના જન્મદિવસ નિમિત્તે તેમનો ગુલાબનો હાર પહેરાવ્યો હતો અને તેમના ચરણ ધોઇ તેનું પાણી માથે પણ લગાવ્યુ હતુ. આ ઉપરાંત તેમણે માતાના આશીર્વાદ પણ લીધા હતા. હીરાબાના જન્મદિવસ નિમિત્તે ખાસ પીએમ મોદી સાલની ભેટ લઇને આવ્યા હતા. તેમણે માતાનું મોં પણ મીઠુ કરાવ્યુ હતુ.
જણાવી દઇએ કે, આજે પીએમ મોદીની માતાના 100માં જન્મદિવસ નિમિત્તે એટલે કે શતાયુ જન્મદિવસ નિમિત્તે ઉજવણી ચાલી રહી છે. હીરાબા પોતાના પરિવાર સાથે અમદાવાદના જગન્નાથ મંદિર પહોંચ્યા છે. જ્યાં તેમનું ગુલાબનો હાર પહેરાવી સ્વાગત પણ કરવામાં આવ્યુ. હીરાબાએ જન્મદિવસ નિમિત્તે જગન્નાથજીના દર્શન કર્યા હતા. આજે મંદિરે વિશેષ ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. ત્યારે જન્મદિવસના ખાસ અવસર પર હીરાબાએ પરિવાર સાથે જગન્નાથજીની આરતી પણ કરી હતી.
આ ઉપરાંત પીએમ મોદીના ભાઇ અને બહેને પણ દર્શન કર્યા હતા. હીરાબાને મંદિરના હોલમાં બેસાડવામાં આવ્યા. હીરાબાના દીર્ઘાયુ માટે મંદિરમાં વિશેષ પૂજા વિધિ કરવામાં આવી અને તે બાદ સત્સંગ માટે હોલમાં વિશેષણ પ્રાર્થના પણ કરવામાં આવી. આ દરમિયાન ઘણા દર્શનાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હીરાબાના પરિવાર દ્વારા શતાયુ જન્મદિવસ નિમિત્તે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
હીરાબાના જન્મદિવસની વાત કરીએ તો, PM મોદી આજે સવારે ગાંધીનગરમાં તેમના નાના ભાઈ પંકજ મોદીના ઘરે તેમની માતા હીરા બાને મળવા અને તેમના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તેમણે માતાના ચરણ ધોયા અને પછી તેમનું મોં મીઠુ કરાવ્યું અને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા. ત્યારબાદ થોડીવાર બેસી તેમની સાથે બેસી વાતો પણ કરી. તમને જણાવી દઈએ કે હીરા બા તેમના નાના પુત્ર સાથે રહે છે.
દર વખતે 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસના અવસર પર પીએમ મોદી માતાને મળવા આવે છે. હીરા બાનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. પીએમ મોદી માતાને મળ્યા બાદ પાવાગઢ કાલિકા મંદિર જવા રવાના થયા હતા. ગુજરાતના વડનગરમાં હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાના લાંબા આયુષ્ય અને આરોગ્ય માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શિવ પૂજા અને સુંદરકાંડ પાઠ ભજન સંધ્યાનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે વડનગર પીએમ મોદીનું જન્મસ્થળ છે. તેમનો પરિવાર અહીં રહેતો હતો અને પીએમ મોદી તેમના પિતા સાથે વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા.
View this post on Instagram