રાતના સપનામાં દેખાવા લાગ્યો હતો મરી ગયેલ દીકરો…પાડોશીના પ્રેમમાં પાગલ માંએ કબૂલવું પડયુ પોતાનું પાપ
Gwalior Mother killed Son: કળિયુગી માતાએ પોતાના કાળજા કેરા કટકાને છત પરથી ફેંકી દીધો, પણ પરિવારના સભ્યોને અકસ્માતની કહાની કહીને મૂંઝવણમાં મુકી દીધા. જો કે, થોડા મહિના પછી માસૂમ દીકરો હત્યારી માતાના સપનામાં વારંવાર આવવા લાગ્યો, ડરેલી માતાએ પાપ છુપાવવા માટે તમામ પ્રયાસ કર્યા, પરંતુ આખરે એક દિવસ તેણે પોલીસ કોન્સ્ટેબલ પતિની સામે પોતાનો ગુનો કબૂલી લીધો. આ પછી, 3 વર્ષના પુત્રની હત્યાની કહાની સામે આવી. મધ્યપ્રદેશના ગ્વાલિયરની આ ઘટના છે.
શહેરના થાટીપુર પોલીસ સ્ટેશન વિસ્તારની તારામાઈ કોલોનીમાં રહેતા ધ્યાન સિંહ રાઠોડ મધ્યપ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત છે. ધ્યાન સિંહના લગ્ન 2017માં ભિંડની રહેવાસી જ્યોતિ રાઠોડ સાથે થયા હતા. આ દંપતિને બે બાાળકો જતીન ઉર્ફે સની અને મોનુ હતા. જ્યોતિએ તેના પતિ ધ્યાન સિંહને કહ્યું કે તે આખો દિવસ ઘરમાં કંટાળી જાય છે, તેથી ઘરમાં નીચે દુકાન ખોલી આપો. પત્નીની વાતને અનુસરીને પતિએ દુકાન ખોલી અને જ્યોતિ દુકાન પર બેસવા લાગી.
પરંતુ અચાનક જ જ્યોતિએ તેના પતિને કહ્યું કે દુકાન પર બેસવું યોગ્ય નથી લાગતું, તો હવે બંધ કરી દો. જો કે, ધ્યાનસિંહે તેની પત્નીને સમજાવ્યું કે બધો સામાન વેચાઈ જાય પછી દુકાન બંધ કરી દેશે. પરંતુ તે દરમિયાન 28 એપ્રિલ 2023ના રોજ લગભગ 8:15 વાગ્યે દંપતિનો પુત્ર જતીન ઘરની છત પરથી પડી ગયો અને ઘાયલ થયો. તેને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યો પણ 29 એપ્રિલે તેનું સારવાર દરમિયાન મોત થઇ ગયું.
પરિવારે જતિનના મોતને અકસ્માત ગણાવ્યો અને થોડા દિવસો પછી ઘરમાં બધું સામાન્ય થઈ ગયું. 3 વર્ષના પુત્ર જતિનના મોત પછી જ્યોતિ ભયભીત અને નર્વસ રહેવા લાગી. અચાનક તે રાત્રે ડરીને જાગી જતી. પતિએ વિચાર્યું કે પુત્રની મોતથી પત્નીને ઊંડો આઘાત લાગ્યો છે. કદાચ તેથી જ તે ઊંઘી શકતી નથી. પરંતુ જ્યોતિની હાલત દિવસેને દિવસે બગડવા લાગી.
જ્યોતિની પરેશાનીનું કારણ હતુ તેના મૃત પુત્ર જતીનનું વારંવાર સપનામાં આવવું, તેને તેનો પુત્ર વારંવાર સપનામાં દેખાતો હતો. જ્યોતિને લાગતુ હતુ કે જતિનની આત્મા ઘરમાં ક્યાંક ભટકી રહી છે અને તેનું જીવન મુશ્કેલ બની જશે. તેથી જ એક દિવસ તેણે પતિ ધ્યાન સિંહની સામે પોતાનો ગુનો કબૂલ કરી લીધો અને ગુસ્સામાં પુત્રને છત પરથી ધક્કો માર્યો હોવાનું જણાવ્યું.
જ્યોતિએ જણાવ્યું કે તેના પતિ દુકાન બંધ કરવાના મુદ્દાને ગંભીરતાથી લેતા નહોતા એટલે તેણે ખતરનાક પ્લાન બનાવ્યો. આ અંતર્ગત તે તેના પતિને કહેવા માંગતી હતી કે આ દુકાન અશુભ છે. આ સાબિત કરવા માટે તેણે 3 વર્ષ 4 મહિનાના પુત્ર સની ઉર્ફે જતીનને ધાબા પરથી ધક્કો મારી દીધો. મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે તેને બાળકને નાની-મોટી ઈજા થવાની આશંકા હતી, પરંતુ તે નિર્દોષને મારવા માંગતી નહોતી.
આ કબૂલાત સાંભળીને પતિ હેરાન રહી ગયો. આ ઘટનાના કોઈ પુરાવા અને સાક્ષી ન હતા અને આ કારણે ધ્યાન સિંહે પહેલા તેની પત્ની જ્યોતિને વિશ્વાસમાં લીધી અને પછી તેણે તેની સાથે આ ઘટના વિશે સતત વાત કરવાનું શરૂ કર્યું. આ સાથે તેણે મોબાઈલમાં વાતચીતનું રેકોર્ડિંગ પણ શરૂ કરી દીધું હતું. જ્યારે જ્યોતિને ઘટનાના સમય વિશે પૂછપરછ કરવામાં આવી તો તેણે અલગ-અલગ જવાબો આપવાનું શરૂ કર્યું.
આટલું જ નહીં, જ્યારે પોલીસકર્મી પતિ પત્નીને ટેરેસ પર લઈ જઈને ક્રાઈમ સીન રિક્રિએટ કરવાનો પ્રયાસ કરતો ત્યારે તે અલગ-અલગ જગ્યાએ પોતાની હાજરી જણાવતો હતો. આ કારણે શંકા વધતી રહી અને પછી અચાનક એક દિવસ મહિલાએ રડતા રડતા પોતાનો ગુનો સ્વીકારી લીધો. હકિકત સામે આવ્યા બાદ ધ્યાનસિંહ અને પોલીસકર્મીઓના પગ નીચેથી તો જમીન સરકી ગઈ. પૂછપરછમાં જાણવા મળ્યુ કે ધ્યાન સિંહની પત્ની જ્યોતિને તેના પાડોશી ઉદય સાથે ગેરકાયદેસર સંબંધો હતા.
28 એપ્રિલની સાંજે સાસરે કોઈ કાર્યક્રમ ચાલતો હતો, તેથી પતિ સહિત બધા મહેમાનોના વ્યસ્ત હતા. આ દરમિયાન રાત્રે પરણિત જ્યોતિ તેના પ્રેમી ઉદયને મળવા ટેરેસ પર પહોંચી અને આ સમયે માસૂમ જતીન પણ પાછળ પાછળ ગયો. જ્યાં તેણે તેની માતાને પ્રેમીના હાથમાં હાથ નાખેલી જોઇ. જ્યોતિને ડર હતો કે પુત્ર કદાચ તેના પતિની સામે તેના પ્રેમસંબંધનો પર્દાફાશ કરી ના દે એટલે તેણે ગભરાટમાં જતીનને છત પરથી ફેંકી દીધો.