સમગ્ર ગુજરાતમાં કૌભાંડોમાં માહેર ગણાતા સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક ભેજાબાજોએ અનેક કૌભાંડોને અંજામ આપ્યો છે, ત્યારે તાજેતરમાં વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યુ છે. જેમાં ફોજીવાડાની સીમમાં ચાલતી મીષ્ટાન ફૂડ્સ નામની કંપનીએ કાગળ પર ખોટા આંકડા રજૂ કરતાં સેબીએ હિસાબો શંકાસ્પદ હોવાનું માનીને શેર લિસ્ટેડ કંપનીના સંચાલકોને ખુલાસો કરવા માટે નોટિસ ફટકારી છે.
મળતી માહિતી મુજબ, હિંમતનગરની મીષ્ટાન ફૂડ્સ નામની આ કંપની ફોજીવાડાની સીમમાં આવેલી છે. જેણે 10 વર્ષ અગાઉ કંપની શરૂ કરીને સેબીમાં સભ્ય બનીને શેર ભંડોળ એકત્ર કરવા આઈપીઓ બહાર પડયો હતો. અમદાવાદમાં ઓફિસ ધરાવતા હિતેશ ગૌરીશંકર પટેલની કંપની મિષ્ટાન ફુડ છે અને સેબીએ જ્યારે આ કંપનીમાં તપાસ કરી તો ખબર પડી કે 100 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. સેબીએ હિતેશ પટેલ અને અન્ય લોકોને શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે અને 100 કરોડ રૂપિયા પાછા માંગ્યા છે.મિષ્ટાન ફુડ પહેલા 1981માં સીમેન્ટ કંપની હતી જેનું નામ HICS સિમેન્ટ હતું, પરંતુ 1994માં ધંધો બદલીને સંચાલકો ફુડ પ્રોસેસીંગના ધંધામાં પડ્યા અને બાસમતી ચોખા, ઘંઉ, દાળ અને મીઠું વેચવાનું શરૂ કર્યું અને કંપનીનું નામ મિષ્ટાન ફુડ રાખવામાં આવ્યું.
આ કંપનીએ બધુ જ બોગસ ચલાવ્યું હતું, વેચાણ, ખરીદી ટ્રાન્ઝેકશન બિલ બધુ જ બોગસ. આંકડાનો ખેલ માત્ર કાગળ પર ચાલતો હતો. કંપનીનું વેચાણ 2014માં માત્ર 5 કરોડ હતું જે 2024 સુધીમાં 1200 કરોડ થઇ ગયું , પરંતુ નફો ઝીરો હતો. કંપનીએ એટલે હદ સુધી બોગસ ચલાવ્યું કે, વીજળીનું બિલ જે 60 લાખનું હતુ તે 4 કરોડ બતાવી દીધું. આંકડાની માયાજાળ રચીને કોઈ જ નફો પોતાના સરવૈયામાં બતાવ્યો નથી. આ દરમિયાન સેબીમાં લિસ્ટેડ મીષ્ટાન ફૂડ્સ શંકાના દાયરામાં આવી જતાં સેબીએ તેના સંચાલકોને ખુલાસો કરવા માટે નોટિસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ મીષ્ટાન ગૃપના ભાગીદારો સામે હિંમતનગરમાં કરોડોની છેતરપીંડી કરાઈ હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ નોંધાઈ હતી.