દિલીપ જોષીથી લઈને મલ્હાર ઠાકર, કિંજલ દવે, આદિત્ય ગઢવી જેવા ખ્યાતનામ કલાકારોએ PSM 100ની મુલાકાત બાદ જુઓ શું કહ્યું ?
અમદાવાદના ઓગણજ ખાતે ભવ્ય પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવ ફક્ત ગુજરાત માટે જ નહિ પરંતુ આખી દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ મહોત્સવને માણવા માટે વિદેશથી પણ લોકો આવી રહ્યા છે અને તેમાં ભાગ પણ લઇ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ આ મહોત્સવની તસવીરો અને વીડિયો ખુબ જ વાયરલ પણ થઇ રહ્યા છે.
આ કાર્યક્રમમાં અત્યાર સુધી ઘણા બધા નેતાઓ, અભિનેતાઓ, કલાકારો, કસબીઓ, જાણીતા ઉદ્યોગપતિઓએ મુલાકાત લઇ લીધી છે, ત્યારે જયારે ગુજરાતના આંગણે જ આ કાર્યક્રમ ઉજવાતો હોવાથી ગુજરાતી કલાકારો તેમાં ગયા વિના પોતાની જાતને કેમ રોકી શકે ? ઘણા બધા ગુજરાતી કલાકારોએ પણ આ મહોત્સવનું મુલાકાત લીધી અને મુલાકાત બાદ પોતાના પ્રતિભાવ પણ આપ્યા હતા.
આ મહોત્વસનું ઉદ્દઘાટન 14 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદી અને પ.પૂ, મહંત સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉદ્દઘાટન સમારંભમાં મૂળ ગુજરાતી અને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહિકમાં જેઠાલાલના પાત્ર દ્વારા આખી દુનિયામાં પ્રચલિત બનેલા દિલીપ જોશી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ મહોત્સવની મુલાકાત બાદ મીડિયામાં આ મહોત્સવને લઈને કેટલીક વાતો જણાવી હતી.
દિલીપ જોશી આ મહોત્સવમાં ભાગ લેવા માટે પોતાના સહપરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવા માટેનું ખૂબ જ મોટા સ્કેલ પર આયોજન કરવામાં આવ્યું છે. જેનું મેનેજમેન્ટ વર્લ્ડ ફેમસ છે એવી BAPS સંસ્થા દ્વારા 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી એટલે કે 1 મહિના સુધી આ મહોત્સવનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે.
દિલીપ જોશીએ આગળ જણાવ્યું કે, “અહીં સુંદર બાળ નગરી અને ગ્લો ગાર્ડન પણ બનાવવામાં આવ્યા છે. આજે અહીં મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીમાં હાજરી આપવાનો મોકો મળ્યો તેનો મને આનંદ છે. હું આજે મારા પરિવાર સાથે મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યો છું.”
તો દીલિપ જોશી ઉપરાંત ગુજરાતની લોકપ્રિય ગાયિકા એવી કિંજલ દવેએ પણ આ મહોત્સવમાં હાજરી આપી હતી અને તેની ખુશી વર્ણવી હતી. તેણે કહ્યું હતું કે, “આપણે માતાજીને માનતા હોય કે શિવજીને માનતા હોય કે પછી કોઈ ક્રિશ્ચન હોય કે કોઈ મુસ્લિમ હોય, પણ ખરેખર વિશ્વ એક માળો છે, વસુદેવ કુટુંબકમ, અહીંયા કોઈ ધર્મના કે જાતિના લોકોને માટે આ નથી.”
કિંજલે આગળ કહ્યું કે, “પણ આ એક નગર એવું છે જ્યાં સેવા અને સમર્પણ એકતા કોને કહેવાય, સેવા કોને કહેવાય, એકબીજા માટેનો ભાવ શું હોય? જેમ પ્રમુખ સ્વામી મહારાજ આપણી વચ્ચે નથી રહ્યા અત્યારે, છતાં પણ એ આપણા દિલમાં, આપણી અંદર એ જીવતા છે. એટલે બાપા માટે ખાસ…:” આટલું કહીને “જીવું છું રસીલા તારા મુખડાને જોઈને..” ભજન પણ ગાયું.
તો ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર પણ આ મહોત્સવની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. મલ્હારની સાથે ડિરેક્ટર સંદીપ પટેલ પણ હાજર હતા. મહંત સ્વામીની મુલાકાત દરમિયાન તેઓ નતમસ્તક થતા પણ જોવા મળ્યા હતા. મલ્હાર ઠાકરે આ મહોત્સવનું મુલાકાતને લઈને પણ ખુબ જ દિલચસ્પ વાત જણાવી હતી.
મલ્હારે કહ્યું હતું કે, “બહુ જ ગ્રેટ અને ડિવાઇન ફીલ આવે છે. એવું લાગે કે જાણે વર્લ્ડની કોઈ જગ્યાએ વિઝા લઈને ગયા હોય તો કેવી ફીલ આવે કે કોઈક આમ અલગ દુનિયા અલગ વર્લ્ડ અને સખત ડિવાઇન ફીલ છે. આમ તો બહુ આનંદ અને આશીર્વાદ રૂપે આ વિઝીટ રહી છે.”
મલ્હારે આગળ જણાવ્યું હતું કે, “બહુ લાંબા સમય પછી એવું ફીલ થાય કે આમ શાંત ડિવાઇન ફીલ આવી રહી છે. અને આ આશીર્વાદ છે કે હું અહીંયા વિઝીટ કરી શક્યો. મહંત સ્વામીના આશીર્વાદ મને મળ્યા અને લગભગ બધા જ દિગ્ગજ અને તજજ્ઞોની મુલાકાત થઇ અને આ શતાબ્દી મહોત્સવની 100% મુલાકાત લેવી જોઈએ અને હું પણ વારંવાર અહીંયા આવવાનો છું.”
તો ગુજરાતની વધુ એક લોકગાયિકા અલ્પાબેન પટેલ પણ પોતાના પતિ અને પરિવાર સાથે આ મહોત્સવની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. તેમણે પણ આ મહોત્સવની મુલાકાત લઈને પોતાની તસવીરો શેર કરતા કેપશનમાં કહ્યું હતું કે…”પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની યાત્રા ચારધામની જાત્રા જેવી રહી. ખુબ સારા વિચારો હ્રદય સુધી પહોચ્યા છે એની ખુશી છે એથી વિશેષ મહંત સ્વામી બાપાના દર્શનનો લ્હાવો મળ્યો. હરી ભકતોએ ખુબ મહેનત કરી છે પોતાના તન મન ધનથી સેવા કરી રહ્યા છે.”
તેઓ આગળ લખે છે કે, “બાળ નગરીની વાત જ અનોખી છે હું તમામ બાળકોના માતા-પિતાને ધન્યવાદ આપુ છું જેમણે બાળકોને અહીં સુધી પહોચાડ્યા છે.. બાળકોનો અભિનય એમના પોષાક જોઈને જ હું વિચારોમાં પડી ગઈ. અદભુત ! અદભુત ! બાપાની વાંસ માથી બનાવેલી મૂર્તી જોઈએ તો એમ લાગે બાપા હમણા જ બોલશે.”
View this post on Instagram
તો ગુજરાતી લોકગાયક આદિત્ય ગઢવી પણ મહોત્સવની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે પણ આ મહોત્સવમાં ફરી અને મહોત્સવની ખૂબી પણ ગણાવી હતી, સાથે સાથે તેમને વીડિયો શેર કરીને વેસ્ટમાંથી બેસ્ટ બનેલી વસ્તુઓ પણ જણાવી હતી. આ ઉપરાંત તેમને વીડિયોમાં આ મહોત્સવને બનાવવા પાછળની મહેનત વિશે પણ વાત કરી હતી.