છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓ ખુબ જ વધ્યા છે અને તેમાં પણ નાની ઉંમરના બાળકો આપઘાત કરી લેવાના કિસ્સાઓ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે. કોઈ નાની નાની વાતમાં લાગી આવતા પણ બાળકો આપઘાત કરી લેતા હોય છે, ત્યારે હાલ એક ખબર જામનગરમાંથી આવી રહી છે, જ્યાં ભાજપના એક નેતાની 17 વર્ષની દીકરીએ આપઘાત કરી લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર શહેરમાં ગાંધીનગર મેઇન રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટી-4 માં જામનગર શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવાની 17 વર્ષની દીકરી પ્રતીક્ષાબા ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી અને તે પરીક્ષામાં નાપાસ થઇ હતી. જેના કારણે તેના પિતાએ “કેમ નાપાસ થઇ ?” એવો ઠપકો આપ્યો હતો.
પિતાની વાતનું લાગી આવતા પ્રિતક્ષાબાએ બુધવારે સવારે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લીધો હતો, આથી તેને તાકીદે જી.જી.હોસ્પિટલ ખસેડાઇ હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં શોકનું મોજું ફરી વળ્યું હતું.આ બનાવની જાણ થતાં ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા સહિતના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા.
આ બનાવ અંગેની જાણ પોલીસને પણ થતાં સિટી બી પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરીક્ષામાં નાપાસ થતાં રાજકીય આગેવાનની પુત્રીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં શહેરભરમાં અરેરાટી પ્રસરી છે.