દેશભરમાં આપઘાતની ઘટનાઓ સતત વધી રહી છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે કે કોઈ અન્ય કારણોને લઈને આપઘાત કરવા માટે પ્રેરાય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના ગાંધીનગરમાંથી સામે આવી છે, જ્યાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના તબીબે પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એનેસ્થેસિયા વિભાગના રેસિડેન્ટ ડોક્ટર વિનય જાનીએ પોતાની સ્ટાફ કવોટરમાં જ ઈન્ટ્રા વીનસ ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. જેના કારણે સિવિલ સ્ટાફમાં સોપો પડી ગયો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ બાબતે મળી રહેલી વધુ માહિતી પ્રમાણે ડોક્ટર વિનય જાની સવારથી સ્ટાફના લોકોના ફોન ઉપાડતા નહોતા અને આજે તે ડ્યુટી ઉપર પણ આવ્યા નહોતા, જેના કારણે તેમના સાથી મિત્રો તેમના રૂમ ઉપર જઈને દરવાજો ખોલ્યો ત્યારે ડોક્ટર વિનય મૃત હાલતમાં હતા. જેના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

ડોક્ટર વિનયે કાયા કારણોસર આપઘાત કર્યો છે તેનો ખુલાસો હજુ સુધી નથી થઇ શક્યો. હાલમાં સેક્ટર-7 પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી અને કાનૂની કાયર્વાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ આગાઉ જ સિવિલના સ્ટાફ બ્રધરે પણ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને હવે આ બીજા આપઘાતના બનાવથી સ્ટાફ પણ ચિંતામાં છે.