એજન્ટોનો મોટો કાંડ ખુલ્યો: કેનેડાથી USA જવા ચૌધરી પરિવારે 60 લાખ આપ્યા, એજન્ટ બોટમાં બેસાડી દીધા ને બધા તડપી તડપીને મૃત્યુ પામ્યા, જાણો સમગ્ર મામલો

આજકાલ ઘણા લોકોને વિદેશમાં જવાનું ઘેલુ લાગ્યુ છે, ત્યારે ઘણીવાર ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવવાના ચક્કરમાં કેટલાય લોકો મોતને પણ ભેટે છે અને આમાં ઘણા ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે 29 માર્ચના રોજ કેનેડાથી બોટમાં બેસીને સેન્ટ લોરેન્સ નદી ક્રોસ કરી ગેરકાયદેસર અમેરિકા પહોંચવાના ચક્કરમાં મહેસાણાનો ચૌધરી પરિવાર વિખેરાયો હતો. ત્યારે હવે ગેરકાયદેસર અમેરિકા જવાના પ્રયાસમાં મોતને ભેટેલા ચૌધરી પરિવારના કેસમાં મહેસાણાના વસાઈ પોલીસ સ્ટેશનમાં હવે ફરિયાદ નોંધાઈ છે.

પ્રવીણભાઈ ચૌધરી કે જેનું ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં મોત થયુ હતુ તેમના નાના ભાઈ અશ્વિન ચૌધરીએ ફરિયાદ નોંધાવી છે. મહેસાણાના ત્રણ એજન્ટો સામે ફરિયાદ નોંધાયા બાદ તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં એવો આક્ષેપ કરાયો છે કે એજન્ટોએ એક વ્યક્તિના 15 લાખ રૂપિયા લેખે કુલ 60 લાખમાં ચૌધરી પરિવારના ચાર સભ્યોને અમેરિકા પહોંચાડવાનું કામ હાથમાં લીધું હતું.

આ ઉપરાંત પરિવારના તમામ સભ્યોને ટેક્સી દ્વારા બોર્ડર ક્રોસ કરાવવાનો વાયદો કર્યો હતો. પણ બોટ દ્વારા પરિવારને અમેરિકા મોકલાતા અને સેન્ટ લોરેન્સ નદીમાંથી બોટ પસાર થતા ડૂબી જતાં ચૌધરી પરિવાર સાથે સાથે એક રોમાનિયન પરિવાર પણ મોતને ભેટ્યો. 3 મેના રોજ આ ફરિયાદ નોંધાવાઇ એને તેમાં વડાસણના નિકુલસિંહ વિહોલ અને સચિન વિહોલ જ્યારે દઢિયાળના અર્જુનસિંહ ચાવડાને આરોપી બનાવાયા.

ફરિયાદ અનુસાર, જાન્યુઆરીમાં પ્રવીણ ચૌધરી તેમના પત્ની દક્ષાબેન, દીકરા મિત અને દીકરી વિધિ સાથે વિઝિટર વિઝા પર કેનેડા ગયા હતા અને તેમણે અમદાવાદથી ટોરેન્ટોની ફ્લાઈટ પકડી હતી. કેનેડા પહોંચીને તેઓ ટોરેન્ટો એરપોર્ટની નજીક આવેલ એક હોટેલમાં રોકાયા અને રોજ તેઓ મહેસાણા સ્થિત તેમના પરિવાર સાથે ફોન પર વાત કરતા. મૃતક પ્રવીણભાઈ પરિવાર સાથે કેનેડા ગયા તેની જાણ તેમને અમેરિકા મોકલનારા એજન્ટોને 10 માર્ચની આસપાસ થઈ.

પ્રવીણભાઈને ફોન કરીને તેમણે કેનેડાથી અમેરિકા જવું હોય તો કહેજો તેવી વાત કરી. નિકુલસિંહ કે જે એજન્ટ છે તેની સાથે પ્રવીણભાઈની વાત થતાં તેમણે આ અંગે પોતાના ભાઈ અશ્વિનને પણ જણાવ્યું હતું. ત્યારબાદ અશ્વિન ચૌધરી અને નિકુલસિંહ વચ્ચે મહેસાણામાં એક મિટિંગ થઈ અને એવી વાત કરી હતી કે સચિન વિહોલ કે જે છેલ્લા પાંચ વર્ષથી કેનેડામાં રહે છે, તેની સાથે મળી પોતે અમેરિકા મોકલવાનું કરાવવાનું કામ કરે છે.

આ કેસમાં જે ત્રણ એજન્ટોને આરોપી બનાવાયા છે તેમને ચૌધરી પરિવાર છેલ્લા બે વર્ષથી ઓળખતો હતો. ફરિયાદમાં એવું કહેવાયુ છે કે ચૌધરી પરિવારને અમેરિકા મોકલવા વ્યક્તિ દીઠ 15 લાખના હિસાબે ચાર લોકોના 60 લાખ રૂપિયા થશે, અને ટેક્સી મારફતે કોઈ જોખમ વિના તેમને કેનેડાની બોર્ડર ક્રોસ કરાવાશે. એજન્ટ નિકુલસિંહે એમ પણ કહ્યું હતું કે ટોરેન્ટોથી મોન્ટેરિયલ જવાની ટિકિટ મળી જાય ત્યારે સંપૂર્ણ પેમેન્ટ આપી દેવાનું.

પ્રવીણ ચૌધરીએ આ બાબતે પોતાની સહમતી આપી તે બાદ અશ્વિન ચૌધરીને એજન્ટને 60 લાખ રૂપિયા ચૂકવી દેવા માટે કહ્યું. ડીલ ફાઈનલ થયા બાદ નિકુલસિંહે ચૌધરી ફેમિલીની ટિકિટ બુક કરાવી અને વોટ્સએપ પર ફરિયાદીને મોકલી આપી જે બાદ 60 લાખ રૂપિયા તેમણે એજન્ટોને આપ્યા. 23 માર્ચે ચૌધરીની પરિવારને એજન્ટોએ વિનિપેંગથી યુલ મોન્ટેરિયલ ફ્લાઈટ દ્વારા પહોંચાડ્યું હતું, અને તેમને એક હોટેલમાં લઈ જવાયા. પ્રવીણ ચૌધરીએ ફરિયાદીને આ અંગે ફોન કરીને જાણ પણ કરી હતી.

જો કે, ત્યાં પહોંચ્યા બાદ એજન્ટ સચિન વિહોલે એવી વાત કરી હતી કે લાઈન ક્લિયર નથી થઈ, જેથી હાલ બોર્ડર ક્રોસ નહીં થઈ શકે, તેની વ્યવસ્થા થતાં જ ટેક્સી મારફતે તેમને અમેરિકા પહોંચાડી દેવાશે. જો કે, સચિન છ-સાત દિવસ સુધી પ્રવીણ ચૌધરીને તેમના પત્ની અને બે સંતાનો સહિત અલગ-અલગ જગ્યાએ ફેરવતો રહ્યો. આ દરમિયાન તેમને ન્હાવા-ધોવા તેમજ જમવાની પણ કોઈ સગવડ આપવામાં ન આવી.

જે બાદ છેલ્લે સચિને એવું કહ્યું કે બાય રોડ અમેરિકા જવાની લાઈન ક્લિયર ના થતા બોટ દ્વારા જવું પડશે. એજન્ટોએ મૃતક પ્રવીણ ચૌધરીને બોટમાં બોર્ડર ક્રોસ કરવા માટે સમજાવી દીધા અને છેલ્લે 30 માર્ચના રોજ પ્રવીણ ચૌધરીની દીકરી વિધિએ તેના કાકાને મેસેજ કરીને સ્થિતિ ખરાબ હોવાનું જણાવ્યું હતું, પરંતુ તે બાદ તેમનો કોઈ સંપર્ક ન થયો. સતત 24 કલાકથી વધુ સમય સુધી પ્રવીણ ચૌધરી સાથે વાત ના થતા પરિવાર પણ ચિંતિત હતો.

જો કે, તેમને તો આખરે સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ કે અમેરિકા પહોંચવાના પ્રયાસમાં પ્રવીણ ચૌધરી તેમના પત્ની અને બે સંતાનો મોતને ભેટ્યા છે. ફરિયાદને આધારે પોલિસે નિકુલસિંહ વિહોલ, સચિન વિહોલ અને અર્જુનસિંહ ચાવડા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 304 (ગુનાહિત માનવહત્યા), 406 (વિશ્વાસનો ગુનાહિત ભંગ), 420 (છેતરપિંડી) અને 120બી (ગુનાહિત કાવતરું) હેઠળ કેસ નોંધ્યો છે.

Shah Jina