ગ્રીષ્માના ઘરની બહાર જે જગ્યા એ છરીથી ગ્રીષ્માનું ગળું કાપી નખવામાં આવ્યું હતું ત્યાં હત્યારા ફેનિલને રિકન્સ્ટ્રક્શન માટે લઈને આવતા સર્જાયા એવા દૃશ્યો કે…

સુરતના ગ્રીષ્મા પટેલ હત્યા કેસની અંદર હવે પોલીસને આરોપી ફેનિલનાં કોર્ટમાંથી 3 દિવસના રિમાન્ડ મંજુર થઇ ગયા છે. જેના બાદ પોલીસે પોતાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. ગઈકાલે આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના 3 દિવસના એટલે કે તા. 19 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. જેના બાદ આજે આ હત્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું.

ગ્રીષ્મા હત્યા કેસની અંદર SITની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા આરોપી ફેનિલને સાથે રાખીને અલગ અલગ જગ્યા ઉપર લઇ જવામાં આવ્યો હતો અને તપાસ કરવામાં આવી હતી કે બનાવના દિવસે તે ક્યાં ક્યાં ફર્યો હતો અને ક્યાંથી છરી ખરીદવામાં આવી હતી. આ બધી જગ્યા ઉપર ફેનિલને સાથે લઈને પોલીસ ફરી હતી.

ગ્રીષ્માની હત્યા પહેલા ફેનિલ કાપોદ્રા વિસ્તારમાં તેના એક મિત્રના કાફેમાં ગયો હતો જેના બાદ તે તેના મિત્ર સાથે અમરોલી વુસ્ટરમાં આવેલી ગ્રીષ્માની કોલેજ ઉપર ગયો હતો અને પછી તે એકલો જ ગ્રીષ્માના ઘરે આવ્યો હતો. જે જગ્યાએ ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી તે જગ્યાએ પણ તેને લઇ જવામાં આવ્યો હતો.

જયારે ફેનિલને ગ્રીષ્માના ઘર પાસે રિકન્સ્ટ્રક્શન કરવા લાવવામાં આવ્યો હતો ત્યારે તેને જોઈને ગ્રીષ્માના પરિવારમાં પણ ભરે રોષ જોવા મળ્યો હતો. આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે. આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ કાફલો પણ સાથે રહ્યો હતો.

ફેનિલને રિકન્સ્ટ્રક્શન દરમિયાન સૌ પ્રથમ કામરેજ પોલીસ સ્ટેશનથી કાપોદ્રા વિસ્તારમાં આવેલ મિત્રના કાફે લઈ જવામાં આવ્યો, જેના બાદ અમરોલી વિસ્તારમાં જ્યાં ચપ્પુ લીધું હતું ત્યાં લઈ જવામાં આવ્યો, ત્યાંથી અમરોલી વિસ્તારમાં યુવતીની કોલેજ અને છેલ્લે પાસોદરા ખાતે જ્યાં યુવતીની હત્યા કરવામાં આવી ત્યાં લાવવામાં આવ્યો. જ્યાં વીડિયોમાં જે રીતે ચપ્પુ ગળાના ભાગે રાખે તે રીતે ડેમો કરાવવામાં આવ્યો હતો.

પહેલીવાર ગ્રીષ્માના પિતા પણ મીડિયા સામે આવ્યા છે અને તેમને પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. ગ્રીષ્માના નિધન બાદ તેના દિવ્યાંગ માતા પિતા તૂટી ચુક્યા છે અને દીકરીને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ પણ કરી રહ્યા છે. ગ્રીષ્માના પિતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેમની દીકરીને તાત્કાલિક ન્યાય મળે અને આરોપીને સજા થાય. તેમને એમ પણ જણાવ્યું કે સરકાર દ્વારા અમને પૂરતો સહકાર આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે તમામ લોકોનો પણ અમને સહકાર મળી રહ્યો છે.

ગ્રીષ્માની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું, સુરતના રસ્તાઓ ઉપર પણ ખુબ જ મોટી ભીડ જોવા મળી હતી. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો. ઘણા લોકો બાઈક અને કાર તેમજ અન્ય વાહનો લઈને સ્મશાન યાત્રામાં જોડાયા હતા. આ બધા વચ્ચે જ ગ્રીષ્માના માતા-પિતા અને પરિવારજનોનું હૈયાફાટ રુદન પણ જોવા મળ્યું હતું, જેના કારણે માહોલ પણ ગમગીન બની ગયો હતો.

ગઈકાલના રોજ પાટીદાર સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિએએ ગ્રીષ્મા વેકરિયાના  ઘરે જઈને પરિવારને સાંત્વના આપી હતી. ત્યારે ગ્રીષ્માના પરિવારજનોએ સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “ભલે અમારી દીકરી સાથે આવી ઘટના બની, પરંતુ અન્ય દીકરીઓ સાથે આવું ના બને તેનું ધ્યાન સમાજે રાખવું જોઈએ.”

ગ્રીષ્માના ઘરે તેના પરિવારને સાંત્વના આપવા માટે પાટીદાર સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ મથુર સવાણી, કાનજી ભાલાળા સહિતના અગ્રણીઓ પહોંચ્યા હતા.જ્યાં શહેરના ઉદ્યોગપતિઓ દ્વારા વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. ગ્રીષ્માના પરિવાર દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે અમારી ગ્રીષ્મા સાથે જે બર્બરતા પૂર્વકની ઘટના બની તે આપણા સમાજ જ નહીં પરંતુ કોઈપણ સમાજની દીકરી સાથે બની શકે છે. જેના માટે આપણે સતર્ક થવાની અને ગંભીરતા લેવાની જરૂર છે.

ગ્રીષ્માના પરિવારે એમ પણ જણાવ્યું કે સમાજે એ પ્રકારે કાર્ય કરવા જોઈએ કે જેમાં આ પ્રકારની માનસિકતા ધરાવતા યુવાનો ઉભા ના થાય, કારણ કે આવા યુવાનો જ સમાજ માટે ખતરારૂપ છે. તો આ ઘટનાને લઈને ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહે જણાવ્યું હતું કે, ગ્રીષ્માની હત્યાના દ્રશ્ય જોઇને ભલભલાને હચમચાવી દે તેવા હતા. એક યુવાન આ પ્રકારની માનસિકતા સાથે કોઈ દીકરીના ઘરે પહોંચ્યા બાદ તેની ગળું કાપીને હત્યા કરી નાખે એ ક્યારેય સાખી લેવાય નહીં.”

લવજીભાઈએ એમ પણ જણાવ્યું કે, “આ ઘટનાને સમાજ માટે પણ આ એક લાલબત્તી સમાન કિસ્સો માની શકાય છે. સમાજના અગ્રણી તરીકે અમે આ પ્રકારની માનસિકતા યુવાનોની ઊભી ન થાય અને આપણું યુવાધન ગેરમાર્ગે ન જાય તેના માટે અમે વિચારી રહ્યા છે અને એ પ્રકારે જાગૃતિના કાર્યક્રમ આપવાનું વિચાર્યું છે. જેથી આ માનસિકતાથી આપણા યુવાનો દૂર રહે અને સમાજની દીકરીઓની રક્ષા કરવાની આપણી પ્રથમ ફરજ છે એ પ્રકારનો વિચાર વહેતો થાય તેવા પ્રયાસ તરફ આગળ વધીશું.”

Niraj Patel