ભરૂચના વૃદ્ધના શરીરમાંથી નીકળી નારિયેળ સાઈઝની પથરી, 2 દિવસ ઓપરેશનનું મોડું થયું હોત તો ચાલ્યો જતો જીવ, બની વિશ્વની ચોથી સૌથી મોટી ઘટના

પથરીનો દુઃખાવો કેવો હોય એ તો જેને તકલીફ થઇ હોય એજ જાણે. પરંતુ જયારે શરીરમાં પથરીની તકલીફ થતી હોય ત્યારે આપણા શરીરમાંથી ઓપરેશ કે કોઈ દવા દ્વારા પથરીનો નિકાલ થાય છે ત્યારે આપણને પણ થાય કે એક નાની અમથી પથરી કેટલી ઘાતક બની કહેવાય. તો વિચારો જો શરીરમાં એક નારિયેળ જેવડી પથરી હોય તો શું થાય ?

આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ભરૂચમાંથી. જ્યાં ભરૂચના એક તબીબે દેડિયાપાડાના આદિવાસી વૃદ્ધનો વિશ્વનો ચોથો સૌથી મોટો નારિયેળ સાઈઝનો 640 ગ્રામના એટલે કે અડધા કિલોથી વધુના વજનના પથરાથી અઢી કલાકના ઓપરેશન બાદ મુક્તિ અપાવી જીવ બચાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આદિવાસી વૃદ્ધના મૂત્રાશયમાં છેલ્લાં 15થી 20 વર્ષથી પથરીમાંથી પથરો બની ગયો હતો જેને જોઈને ડોકટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. ત્યારે ઝીલ સર્જિકલના ડો. જયંતીભાઈ વસાવાએ વિશ્વની ચોથા નંબરનો સૌથી મોટો, દેશનો ત્રીજો અને ભરૂચ જિલ્લાનો પ્રથમ સૌથી મોટા પથરા અંગે જણાવ્યું હતું.

ખેતમજૂરી કરી પોતાનું જીવન નિર્વાહ કરતા 62 વર્ષીય વૃદ્ધ મોતીસિંગના શરીરમાં 20 વર્ષથી પથરી વિકસી રહી હતી. જોકે તેમને છેલ્લા 4 મહિના ઉપરાંતથી જ 640 ગ્રામની નારિયેળ સાઈઝનો પથરાથી તકલીફો શરૂ થઈ હતી. પેટમાં અસહ્ય દુખાવો, પેશાબમાં બળતરા, ચાલવામાં પણ ભારે તકલીફ અને ડાયેરિયાથી પીડાતા આ આદિવાસી વૃદ્ધ નિદાન માટે ભરૂચના તબીબ પાસે આવ્યા હતા.

જ્યાં ડોક્ટરોએ તેમનો એક્સરે અને સોનાગ્રાફી કરાવી હતી. એક્સ-રેમાં ગાંઠ જેવું દેખાયું હતું, જોકે સોનોગ્રાફી કરનારા તબીબને મૂત્રાશય નહીં દેખાતાં તેઓ અચરજમાં મુકાઈ ફરી જાતે એક્સ-રે કરતાં પથરાનું નિદાન થયું હતું. દર્દીનું તાત્કાલિક 2 જૂને અઢી કલાક ચાલેલા ઓપરેશનમાં મૂત્રાશયમાં રહેલા 640 ગ્રામ વજન 4 ઇંચ લંબાઈ, 3 ઇંચ ઊંચાઈ અને પહોળાઈની પથરી નહિ, પણ મસમોટો પથરો બહાર કઢાયો હતો. જો દર્દીના ઓપરેશનમાં 2 દિવસનો પણ વિલંબ થાત તો તેનું મૃત્યુ થવાની પૂરી સંભાવના હતી.

વૃદ્ધના શરીરમાં રહેલા આટલા મોટા પથરાને કારણે તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. કિડની ફિલ્ટ્રરેશન જે 90 % થવું જોઈએ એ પથરાને કારણે 4 ટકા જ થતું હતું. લોહીમાં યુરિયા પણ 40ના સ્થાને વધીને 194 ઓપરેશન પહેલાં હતું. જ્યારે ક્રિએટિન 1.1 ના સ્થાને વધીને 12.70 થઈ ગયું હતું. ઓપરેશનના 5 દિવસ બાદ વૃદ્ધની તબિયત સુધારા પર હોવાનું અને તેમને ડાયાલિસિસ કરાવવાની પણ જરૂર નહીં રહે ,એમ તબીબ ડો. જ્યંતી વસાવાએ જણાવ્યું હતું.

તો આપહેલા પણ દેશમાં સૌથી મોટો પથરો ધરમપુરમાં વર્ષ 2018માં એક દર્દીના શરીરમાંથી  1365 ગ્રામનો પથરો કાઢવામાં આવ્યો હતો, જેને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. એ પહેલાં કાશ્મીરમાં એક દર્દીમાંથી 843 ગ્રામનો પથરો કાઢ્યો હતો, જ્યારે વિશ્વમાં અત્યારસુધી 1900 ગ્રામ એટલે કે 2 કિલો વજનનો પથરો બ્રાઝિલમાં એક દર્દીમાંથી શસ્ત્રક્રિયા દ્વારા કઢાયો હતો. ડો. જયંતીભાઈ વસાવાએ જ ભરૂચમાં આગાઉ 1992માં પહેલી વખત 310 ગ્રામનો પથરો કાઢ્યો હતો. ત્યારે આ વિશ્વની ચોથી સૌથી મોટી ઘટના બની છે.

Niraj Patel