પુણેમાં ડોક્ટરે પૂરા પરિવારની કરી હત્યા : પહેલા બૈરીને મારી અને પછી બંને બાળકોને કુવામાં ફેંક્યા, પછી…
ગુજરાત સમેત દેશભરમાંથી હત્યાના ઘણા મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જે સામે આવ્યો તે ઘણો જ ચોંકાવનારો છે. પુણેમાં એક ડોક્ટરે મંગળવારે તેના આખા પરિવારની હત્યા કરી નાખી. પહેલા તેણે તેની પત્નીનું ગળું દબાવ્યું અને પછી બાળકોને ઘર પાસેના કૂવામાં ફેંકી દીધા. આ પછી પોતે ઘરે આવીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. પોલીસે આ મામલે સુસાઈડ નોટ કબજે કરી છે.
જેમાં પતિએ લખ્યું કે પત્નીના ત્રાસથી પરેશાન થઈને તેણે આ પગલું ભર્યું છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પૂણેના દૌંડ તાલુકાના વરવંડ વિસ્તારના રહેવાસી ડૉ. અતુલ દિવેકર (42) અને પલ્લવી દિવેકર (39) વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી નજીવી બાબતે ઝઘડો ચાલતો હતો. મંગળવારે પણ કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, જે બાદ અતુલે ગુસ્સામાં આવીને પત્નીની હત્યા કરી નાખી.
આ પછી 6 વર્ષની પુત્રી વેદાંતી અને 9 વર્ષના પુત્ર અદ્વૈતને કુવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. કુવામાં બાળકોના મૃતદેહ જોતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે લોકોની મદદથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જ્યારે પોલીસ બાળકોના ઘરે ગઈ તો ત્યાં પતિ-પત્નીના મૃતદેહ જોવા મળ્યા. પોલીસને મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.
પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અતુલ દિવેકર વેટરનરી ડોક્ટર હતા અને તેમની પત્ની ટીચર હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે નજીવી તકરારને કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ અતુલ દિવેકરે આવું ભયંકર પગલું ભર્યું હતું.