અમદાવાદમાં એક વર્ષ પહેલા નોંધાયેલી ધારા કડીવાર નામની યુવતિની ગુમ થયાવી ફરિયાદમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા ખુલાસા થઇ ચૂક્યા છે. ધારાની સૂરજ ભુવાજી ઉર્ફે સૂરજ સોલંકીએ હત્યા કરી હોવાનું ખુલ્યુ હતુ અને તે બાદ પોલિસે સુરજ ભુવા અને એક મહિલા સહિત 8 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે આ મામલે આરોપીઓની ધરપકડ બાદ પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખી આજે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાયું હતુ.
આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરાયું, જે અંતર્ગત આરોપી સૂરજ ભુવાને રિ-કન્સ્ટ્રક્શન માટે સુરેન્દ્રનગર લઈ જવાયો હતો. સુરજ ભુવાએ પોતાના વતન વાટાવચ્છમાં હત્યા બાદ ધારાનો મૃતદેહ સળગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડુંગરાળ અને જંગલ વિસ્તાર હોવાના કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ અહી સતત બની રહી છે અને વાટાવચ્છ ગામમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે આરોપી બેફામ બન્યા હોવાનું પણ કહેવાઇ રહ્યુ છે.
ત્યારે ગામમાં ખુલ્લેઆમ દારૂ અને જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે, તેમજ સાયલા અને આસપાસના વિસ્તારમાં પણ ખંડણી અને ફાયરિંગના કેસ વધ્યા છે. એવું કહેવાય છે કે, સ્થાનિકોની રજૂઆત બાદ પણ પોલીસ સક્રિય થઈ રહી નથી. ધારા હત્યા કેસના રિ-કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો, આ કેસનો મુખ્ય આરોપી સૂરજ ભુવા સહિત અન્ય આરોપીઓ છે 4 દિવસના રિમાન્ડ હેઠળ છે.
ધારા કેસની વિગત જોઇએ તો, 19 જૂન 2022ના રોજ ધારા જૂનાગઢના પોતાના ઘરેથી નીકળી હતી અને તે બાદ ધારાને લઇને સુરજ ભુવાજી ઉર્ફે સુરજ સોલંકી અને તેનો મિત્ર મીત શાહ કારમાં અમદાવાદ આવવા રવાના થયા હતા. પહેલા તો એવું નિવેદન આપવામાં આવ્યુ હતુ કે મીત શાહના અમદાવાદના ઘરે તેઓ આવ્યા હતા અને બીજા દિવસે ધારા કોઈને કંઇ પણ કહ્યા વગર મીતના ઘરેથી નીકળી ગઈ હતી.
સુરજે પોલીસને જણાવ્યું હતું કે, ધારા તેનો સામાન લઈ મીતના ઘરેથી ચાલી ગઈ હતી, અને વોટ્સએપ પર મેસેજ કરીને કહ્યું હતું કે, મને શોધવાની કોશિશ ન કરતા હું તમારા જીવનમાંથી હંમેશા માટે જાવ છું અને પોલીસના લફડામાં પણ પડતા નહીં.આ ઘટનાના એકાદ મહિના બાદ ધારાના ભાઈએ જાણવાજોગ અરજી કરી કે, મારી બહેન છેલ્લે સુરજ ભુવાજીની સાથે નીકળી હતી, જે ગુમ થઈ ગઈ છે અને તેનો કોઈ અતો-પતો નથી.
બસ ત્યારથી પાલડી પોલીસ આ બાબતની તપાસ કરી રહી હતી પણ આ કેસ મામલે પોલિસને એક વર્ષે સફળતા મળી.પોલિસની તપાસમાં સામે આવ્યું કે, 19 જૂનના રોજ ધારા, સુરજ અને મીત સાથે નીકળી હતી અને તેમણે રાત્રે ચોટીલા ખાતે ભોજન કર્યું હતું. તે પછી ધારાને ફોસલાવી સુરજ અને મીત ચોટીલાની બાજુમાં આવેલા સુરજ સોલંકીના મૂળ ગામ વાટાવચ્છ ખાતે લઈ ગયા અને ગામની સીમમાં સુરજના ભાઈ યુવરાજ અને મિત્ર ગુંજન જોશીએ ધારા સાથે બોલાચાલી કરી.
તે પછી કારની પાછળની શીટમાં બેઠેલા મીતે ધારાનું ગળુ દબાવી હત્યા કરી અને ધારાનો મૃતદેહ સળગાવી દીધો.જે પછી મીતની માતાને ધારાને કપડા પહેરાવી ફરાવવામાં આવી. આ પહેલા સુરજ ભુવા સામે આ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી અને એવું કહેવાઇ રહ્યુ છે કે દુષ્કર્મની વાત છુપાવવા યુવતીની હત્યા કરવામાં આવી અને પછી યુવતી ફરાર થઈ ગઈ હોય તેવો ઘટનાક્રમ ઉભો કરાયો. મિતની માતાને ધારાના કપડા પહેરાવી પાલડીમાં ફેરવામાં આવી કારણ કે લોકોને એમ લાગે કે આ એજ યુવતી છે અને તે ભાગી ગઈ છે.