ધૈર્યરાજ માટે વહ્યો દાનનો પ્રવાહ, સારવાર માટે ભેગા થઇ ગયા 16 કરોડ રૂપિયા, હવે ઇન્જકેશન મંગાવવાની પ્રક્રિયા હાથ ધરાશે

3 મહિનાના માસુમ બાળક ધૈર્યરાજને બચાવવા આખા દેશમાં એક અનોખી પહેલ શરૂ થઇ છે. જેમાં ઘણા લોકો અને સંગઠનો દ્વારા દાન એકત્ર કરી અને ધૈર્યરાજને મદદ કરવાની પહેલ શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે ધીમે ધીમે લોકોનો આ ઉત્સાહ અને આ મહેનત રંગ લાવી ગઈ છે.

ધૈર્યરાજની સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર હતી. જે માટે સોશિયલ મીડિયા અને લોકોની મહેનતના પ્રતાપે 42 દિવસ બાદ આ 16 કરોડનું દાન ભેગું થઇ ચૂક્યું છે. ત્યારે ધૈર્યરાજના પિતા દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે ટેકનીકલ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હવે ઇન્જેક્શન મંગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દવા ઓર્ડર થઇ ગયા બાદ તે 15 દિવસમાં આવી જશે અને ત્યારબાદ મારા દીકરાની સારવાર શરૂ થઇ જશે.

તમને જણાવી દઈએ કે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજને નવા જીવન માટે 16 કરોડના ઈન્જેક્શનની જરૂર છે. માતા-પિતા આ ખર્ચ ઉપાડી શક્તા નથી. ત્યારે તેમણે લોકો પાસેથી રૂપિયાની મદદ માંગી છે.

ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે. જેને SMA-1(Spinal Muscular Atrophy Fact Sheet) તરીકે ઓળખવામાં આવે છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે. જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે.

જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી. જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. આ બીમારીની સારવાર માટેનું ઇન્જેક્શન અમેરિકાથી મંગાવવું પડે છે. જેનો ખર્ચ 16 કરોડ રૂપિયા છે. હવે આ દાન ભેગું થઇ જવાના કારણે ધૈર્યરાજને એક નવું જીવન ખુબ જ જલ્દી મળી જશે.

Niraj Patel