પારસી નહિ પરંતુ હિંદુ રીતિ-રિવાજ અનુસાર કરવામાં આવ્યા સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર, જાણો પરિવારે કેમ બદલી પરંપરા

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મહારાષ્ટ્રના પાલઘરમાં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જે બાદ મંગળવારે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મધ્ય મુંબઈના વર્લી ખાતેના ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં હિંદુ વિધિ અનુસાર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જણાવી દઇએ કે, સાયરસ મિસ્ત્રી પારસી સમુદાયમાંથી આવે છે. તો પછી શું કારણ છે કે તેમના અંતિમ સંસ્કાર પારસી રિવાજોને બદલે હિંદુ રિવાજો અનુસાર કરવામાં આવ્યા. પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારની પદ્ધતિ વિશે વાત કરીએ તો તે સંપૂર્ણપણે અલગ છે.

તેઓ ન તો હિંદુઓની જેમ મૃતદેહને બાળે છે અને ન તો ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયની જેમ મૃતદેહને દફનાવે છે. મૃત્યુ પછી, મૃત શરીરને આ સમુદાયમાં ‘ટાવર ઓફ સાયલન્સ’ની ટોચ પર મૂકવામાં આવે છે. જે બાદ ગીધ આવીને તે મૃતદેહોને ખાઈ જાય છે. ગીધનું મૃતદેહને ખાવું એ પારસી સમુદાયના રિવાજનો એક ભાગ છે. જો કે, ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર પારસી રિવાજોને બદલે હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા.

Tower Of Silence
પ્રતિકાત્મક તસવીર

હકીકતમાં, કોરોના રોગચાળાને કારણે આખી દુનિયામાં રિવાજો, જીવન જીવવાની રીતો, લગ્ન સમારોહથી લઈને અંતિમ સંસ્કાર સુધી ઘણુ બધુ બદલાઈ ગયુ છે. રોગચાળાની અસર આ સમુદાયના અંતિમ સંસ્કાર પર પણ પડી હતી. વાસ્તવમાં, કોરોના રોગચાળા દરમિયાન કેન્દ્ર સરકારે એક એસઓપી જારી કરીને પારસી સમુદાયના અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં સુપ્રિમ કોર્ટે પણ સરકારના આ એસઓપી વિરુદ્ધ આદેશ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે કોવિડને કારણે મૃત્યુના કિસ્સામાં, અંતિમ સંસ્કારનું કામ પેશેવરો દ્વારા કરવામાં આવે છે અને આવા મૃત શરીરને ખુલ્લું છોડી શકાય નહીં.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક પારસી લોકો પોતાનો રિવાજ છોડીને મૃતદેહોને બાળીને અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. આ લોકો હવે મૃતદેહોને ટાવર ઓફ સાયલન્સની ટોચ પર રાખતા નથી, પરંતુ તેને હિન્દુ સ્મશાનભૂમિ અથવા ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં લઈ જાય છે.

Shah Jina