ભરૂચમાં પતિ-પત્નીને એકસાથે આપવામાં આવી મુખાગ્નિ, પરિવારજનોએ ઘુમાવી ઘરના મોભીની છત્રછાયા, જાણો વિગત

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન ખાતે 92 વર્ષીય પતિ અને 85 વર્ષીય પત્નીના એક સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પતિ-પત્નીને એક સાથે મુખાગ્નિ આપવામાં આવતા વાતાવરણ ગમગીન બન્યું હતું.

પરિવારે એકસાથે જ બે મોભીઓને ગુમાવ્યા હતા. સ્મશાન યાત્રામાં આવેલ પરિવારજનોએ એકસાથે માતાપિતાની છત્રછાયા ગુમાવતા દ્રશ્યોથી વાતાવરણ ગમગીન બન્યું હતું.

ભરૂચના 92 વર્ષીય સનાભાઈ પ્રજાપતિને ગત 9 એપ્રિલના રોજ કોરોનાના લક્ષણ દેખાતાં તેમને ભરૂચ સિવિલ ખાતે તપાસ અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન કોવિડ 19 નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા.

Image source

ત્યાર બાદ તેમના 85 વર્ષીય પત્ની સવિતા બેન પણ ગત 15 એપ્રિલના રોજ બીમાર પડ્યા હતા. તેથી તેમને પણ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનામાં પણ કોરોનાના લક્ષણો જણાયા હતા. જેથી તેઓ પણ સારવાર હેઠળ હતા.

આજે પતિ પત્નીના મૃતદેહોને ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન ખાતે કોવિડ પ્રોટકોલ મુજબ અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. પરિવારજનોની ઈચ્છાને લઈ બંન્ને પતિ પત્નીના મૃતદેહોને આજુબાજુમાં જ લાકડા ગોઠવી અગ્નિ દાહ આપવામા આવ્યો હતો. સ્મશાન યાત્રામાં આવેલ પરિવારજનોએ એકસાથે માતા પિતાની વિદાયને નિહાળી હતી. જેથી સમગ્ર વાતાવરણ ગમગીન બની રહ્યુ હતું.

Shah Jina