ખબર

એસ્પાયર-2 દુર્ઘટનાના LIVE દૃશ્યો આવ્યા સામે, એવી રીતે નીચે પટકાયા હતા શ્રમિકો કે જોઇને કાળજું કંપી જશે

ગઇકાલે એટલે કે બુધવારના રોજ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ ચાલી રહ્યુ હતુ આ દરમિયાન 13મા માળેથી માંચડો તૂટી પડતાં આઠ શ્રમિક નીચે પટકાયા હતા અને તેમાંથી સાતનાં મોત નિપજ્યા હતાં, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી.ત્યારે ગઇકાલે બનેલી આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી જોઇને જ તમારા પણ રુંવાડા ઉભા થઇ જશે. જો કે, જે ઘટના ગઇકાલે સર્જાઇ હતી, તેની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી ન હતી.

મીડિયા દ્વારા જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી બાંધકામની રજા ચિઠ્ઠી સ્થગિત કરવામાં આવી છે. સાઈટ પર કામ કરી રહેલા એક શ્રમિક અનુસાર, જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે માંચડો તૂટ્યો હતો અને આ દરમિયાન 8 લોકો પડ્યા હતા, જેમાંથી બે વ્યક્તિ ઉપરથી નીચે પડી હતા અને બાકીના 6 શ્રમિક બેઝમેન્ટમાં પડ્યા હતા. તેમને આસપાસની બિલ્ડિંગના લોકોએ રેસ્ક્યૂ કર્યા હતા.

શરૂઆતમાં તો 2 લોકોને એમ્બ્યુલન્સમાં મોકલ્યા પરંતુ 15 મિનિટ બાદ અન્ય 4 વ્યક્તિને મોકલવામાં આવી હતી. આ સિવાય બે લોકો બેઝમેન્ટમાં ફસાયા હોવાની જાણ થતા તેમને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન બેઝમેન્ટમાં પાણી ભરાયુ હોવાને કારણે તેને પંપ દ્વારા બહાર કાઢવામાં આવ્યુ હતુ અને ત્યારે વધુ 2 મજૂર મળ્યા હતા.જે બાદ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે સાઅપરાધ માનવવધનો ગુનો દાખલ કર્યો છે અને કોન્ટ્રાક્ટર સૌરભ શાહ, પેટા કોન્ટ્રાક્ટર દિનેશકુમાર પ્રજાપતિ તથા નેમિષ પટેલ સામે સાઅપરાધન મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે.

ત્રણેય આરોપીની અટકાયત કરી તેમના વિરુદ્ધ કલમ 304, 114 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. જણાવી દઇએ કે, તપાસમાં એ સામે આવ્યુ છે કે, 14 માળ જેટલુ બાંધકામ હોવા છત્તાં પણ મજૂરોને કોઇપણ પ્રકારના સેફ્ટીગિયર આપ્યા નહોતા. સીડીના ભાગે તેમજ લિફ્ટના પેસેજમાં દરેક ફ્લોર ઉપર મજબૂત પ્લેટફોર્મ બનાવ્યું ન હોવાનું પણ સામે આવ્યું છે. જો કે, અન્ય કોઇ સેફ્ટીનેટ જેવી વ્યવસ્થા જો રાખવામાં આવી હોત તો મજૂરોને આટલી ઊંચાઇએથી નીચે પટકાતા અટકાવી શકાયા હોત.