આપણા બધાની ફેવરિટ શો રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રાવણનું ફેમસ પાત્ર ભજવનારા મહાન એક્ટર અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ આ ઉપરાંત ઘણાં નાટક, હિન્દી-ગુજરાતી ફિલ્મો સહિત સિરિયલ્સમાં પણ અભિનય કર્યો છે.
આ અભિનેતા મૂળ ઈડરના કુકડિયા ગામના વતની છે. તેમનો જન્મ MP ના ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો, પરંતુ તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઈ હતી. તેમના ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મ્સના સુપરસ્ટાર હતા.
આ દિગ્ગજ કલાકાર ગુજરાતી ફિલ્મોના જાણીતા એક્ટર હતા. તેમણે મુખ્ય ખલનાયક, સહાયક અભિનેતા, નાયક તથા ચરિત્ર અભિનેતા તરીકે 250થી વધુ ગુજરાતી અને હિન્દી ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. તેમનાં ભાઇ ઉપેન્દ્ર સાથે આ એક્ટરનું કેરિયર 40થી વધુ વર્ષોમાં પથરાયેલી હતો. તેમણે જાણીતી ધારાવાહિક રામાયણમાં લંકાપતિ રાવણના પાત્રથી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે વિક્રમ અને વેતાળ ધારાવાહિકમાં પણ અભિનય કરેલો હતો.
આ દુઃખદ સમાચારની જાણ પરિવારના નજીકના લોકોએ સોશ્યલ મીડિયા પર આપી હતી. તેમણે આ સમાચાર આપવાની સાથે દુઃખ વ્યક્ત કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, કેટલાક સમય પહેલા જ અરવિંદ ત્રિવેદીના નિધનની અફવા ઉડી હતી. તે સમયે સુનીલ લહેરીએ આ ખબરોનું ખંડન કર્યુ હતુ.
અરવિંદ ત્રિવેદીએ ગુજરાતી રંગમંચથી કરિયરની શરૂઆત કરી હતી. ગુુજરાતી સિનેમામાં ઘણા વર્ષો સુધી તેમનું યોગદાન રહ્યુ. ગુજરાતી દર્શકો વચ્ચે તેમને ઘણી ઓળખ મળી અને તેમને શાનદાર અભિનય માટે સમ્માનિત પણ કરવામાં આવી ચૂક્યા છે.
અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 જેટલી હિંદી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ છે. અભિનય ઉપરાંત રાજનીતિના મેદાનમાં પણ અરવિંદ ત્રિવેદીએ કિસ્મત અજમાવી હતી.